ચુુનારાવાડમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમી સહિત બે શખ્સે માર માર્યો
શહેરમાં નવાગામમાં આવેલા આર.એમ.સી.કવાર્ટરમાં રહેતી અને હાલ ચુનારાવડ વિસ્તારમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમિ સહિતના બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડાઈ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નવાગામમાં આવેલા આર.એમ.સી.કવાર્ટરમાં રહેતી અને હાલ ચુનારાવડ વિસ્તારમાં રિસામણે બેઠેલી સરોજબેન પરાગભાઈ સોલંકી (ઉ.27) સાથે કુલદીપ અને જેનીશ નામના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોર કુલદીપ સાથે પરિણીતાને અગાઉ પ્રેમ સંબંધ હતો. દારૂ પીવાની કુટેવના કારણે સંબંધ ટૂંકાવી લીધો હોવાનો ખાર રાખી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર સરીતા વિહારમાં રહેતા ચંદ્રરાજસિંહ દિગ્વીજયસિંહ જાડેજા (ઉ.45) રાત્રિનાં નાનામવા મેઈન રોડ પર હતાં ત્યારે બે નેપાળી શખ્સો દારૂના નશામાં ગાળો બોલતાં હતાં. જેથી ચંદ્રરાજસિંહ જાડેજાએ બન્ને શખ્સોને ગાળો નહીં બોલવા ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બન્ને અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર મારતાં પ્રૌઢને સારવાર માટે ખસેડાયા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.