ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવી
જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે હુમલો કરી 35,000 રૂૂપિયાની લૂંટ ચલાવી છે.
ભારતવન ટ્રસ્ટના મંત્રી બાબુલાલ પરસાણાના જણાવ્યા મુજબ, કેટલાક દિવસ પહેલા ચોટીલાનો એક યુવક રામદાસ બાપુના આશ્રમમાં આવ્યો હતો. યુવકે પોતાની નબળી આર્થિક સ્થિતિ જણાવી આશ્રમમાં રહેવાની વિનંતી કરી હતી. બાપુએ માનવતાના ધોરણે તેને આશ્રમમાં રહેવાની અને ત્યાં બાપુની સેવા કરવાની મંજુરી આપી હતી.
થોડા દિવસ બાદ યુવક બીમાર પડ્યો અને હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ તેણે બાપુ પાસે દવાના પૈસા માગ્યા હતા. બાપુએ રોકડ રકમ આપવાની ના પાડતા યુવકે રાત્રે લાકડી વડે હુમલો કરી દીધો. હુમલા બાદ યુવક બાપુ પાસેથી 35,000 રૂૂપિયા લૂંટીને ફરાર થઈ ગયો હતો.
સવારે ટ્રસ્ટી બાબુલાલ પરસાણા આશ્રમ પહોંચ્યા ત્યારે બાપુ ઘાયલ અવસ્થામાં મળ્યા. પ્રથમ તો બાપુએ બાથરૂૂમમાં પડી જવાનું કહ્યું. પરંતુ આશ્રમમાં તૂટેલી લાકડી અને લોહીના નિશાન જોતાં સત્ય બહાર આવ્યું. તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી બાપુને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
બાદમાં યુવક સાથે ફોન પર વાત થતાં તેણે બાપુને મારવાની કબૂલાત કરી છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. ટ્રસ્ટીઓના મતે આ ઘટના આશ્રમની પવિત્રતા અને માનવતાના મૂલ્યો પર કુઠારાઘાત સમાન છે.