પ્રેમાંધ માતાએ માસૂમ પુત્રને કુંડીમાં ડુબાડી દીધો
બાબરાની ધૃણાસ્પદ ઘટના, પતિને ફસાવી દેવાના કાવતરામાં ભાંડો ફૂટતા હત્યારી માતાની ધરપકડ
બાબરાનાં વાવડા ગામે પરપ્રાંતિય ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યું છે. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને પતિ વતન દાહોદ જતો રહ્યા બાદ પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી પણ પોલીસ તપાસમાં સમગ્ર કારસ્તાનનો પ્રેમાધ જનનીનો ભાંડો ફૂટ્યો.
બાબરામાં પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂૂપ સંતાનની ઠંડા કલેજે નિષ્ઠુર માતાએ હત્યા નિપજાવી જન્મ આપનારી જનેતાએ જ સંતાનનો જીવ લીધો.પાણીની કુંડીમાં ડુબાડી દોઢ માસના માસૂમને મોતને ઘાટ ઉતારી દેનારી પ્રેમાંધ જનનીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાબરા તાલુકાના વાવડા ગામે બની છે માતાએ જ પોતાનાં દોઢ માસનાં માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. પ્રેમ સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પ્રેમી સાથે લગ્નમાં પુત્ર નડતરરૂૂપ હોવાથી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના વતની અને ખેતરોમાં ભાગીયુ રાખી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાનાં બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું અને આ અંગે બાળકની માતા મનીષાબેન બામણીયા (મૂળ રહે. કળશિયા, તા. ગરબાડા, જી.દાહોદ) નામની 25 વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે, હું અને મારો પતિ રાકેશભાઈ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિનાં પોતે ભાગયુ રાખેલ વાડીએ સૂતા હતા. આજે સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા. જેથી શોધખોળ કરતા તેનાં દોઢ માસનાં પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી.
આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ તો તેણીનો ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને નાસી ગયાની શંકા ઉદભવી હતી.
આ બનાવને લઈને બાબરા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ નીચી મુન્ડી કરીને ઉભેલી બાળકની માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.
માતાને મિથુન ભુરીયા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેનો પતિ ચાલ્યો ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂૂપ હોય, જેથી પુત્રની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂૂપ ગણાતી ન હોવાથી માતાએ સાથે રાખી હતી અને પુત્રને મોતનાં મુખમાં ધકેલી દીધો હતો. બાબરા પોલીસે આ ક્રૂર માતા મનીષા સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે.