જૂનાગઢ-ગીર કરતાં હવે અમરેલી-ભાવનગરમાં વધુ સિંહ
દેવભૂમિ દ્વારકામાં એકલા નરકેસરીનો વિહાર, રાજકોટ જિલ્લામાં બે સિંહણ, એક નર પાઠડો અને ત્રણ બચ્ચાંનો પરિવાર
આજે જાહેર કરાયેલ 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે સિંહોના મુખ્ય વસવાટો વિસ્તાર ગણાતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કરતાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધુ સિંહ જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રનાં અલગ અલગ 11 જિલ્લાઓમાં સિંહની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં નોંધવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફકત 1 નર સિંહ જોવા મળ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ 6 સિંહ જોવા મળ્યા છે. જેમાં બે સિંહણ એક નર પાઠડો અને ત્રણ બચ્ચા નોંધાયા છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તા.11 થી 13 મે દરમિયાન હાથ ધરાયેલ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લાના 42 નર, 78 માદા, 22 પાઠડા અને 49 સિંહ બાળ સહિત કુલ 191, ગીર સોમનાથ જિલ્લામાં 41 નર, 84 માદા, 35 પાઠડા અને 61 સિંહ બાળ સહિત કુલ 222 સિંહની ગણતરી કરવામાં આવી છે. કુદરતી રહેઠાણ સ્થાન ગણાતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા મળી કુલ 413 સિંહ નોંધાયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં 339 અને ભાવનગર જિલ્લામાં 116 મળી કુલ 455 સિંહ ગણવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં 5 સિંહણ 2 પાઠડા અને 9 બચ્ચા મળી કુલ 16 જેટલા સિંહ જોવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફકત સૌરાષ્ટ્ર વિસ્તારનાં 11 જિલ્લાઓ પૈકી જૂનાગઢ-ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા મળી ફકત 7 જિલ્લાઓમાં જ વસ્તી ગણતરી દરમિયાન સિંહ જોવામાં આવ્યા હતાં.