અમિત શાહ અને રાજનાથસિંહ કાલે ગુજરાતમાં, વિવિધ કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે એટલે કે 30 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમિત શાહ સંસદીય વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ કાલે સુરતના કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન નેશનલ કો.ઓ. ડેરીના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરશે. ઉપરાંત, ઇ-માર્કેટ એવોર્ડ કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી ભાગ લેશે. આ સાથે અમિત શાહ ગાંધીનગરના NFSU ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની બિલ્ડિંગનું પણ ઇ-લોકાર્પણ કરશે. 30 ડિસેમ્બરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ સુરતની મુલાકાતે આવવાના છે. દરમિયાન તેઓ શહીદોને સલામ 5મા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સુરતના વરાછા ખાતે આવતીકાલે સાંજે 7 વાગે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન સુરતના મારૂૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ રાતે જ સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.