ભારતીય ફિલ્મ જગતમાં ઇતિહાસ સર્જનાર KGFનો ત્રીજો ભાગ બનશે
ત્રણ વર્ષ બાદ હોમબેલ ફિલ્મ્સની જાહેરાત
રોકીની સ્ટોરી આજ સુધી અધુરી રહી છે, ત્યારે હવે ફિલ્મના હોમબેલ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એવી પણ આશા છે કે આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થઈ જશે. ઘણા વખતથી તેના આગામી ભાગ અંગે ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે કેજીએફ ચેપ્ટર 2 નાં ત્રણ વર્ષ પૂરાં થતાં હોમબેલ ફિલ્મ્સ દ્વારા તેના ત્રીજા ભાગની પણ જાહેરાત કરવામાં આવી છે.
પ્રશાંત નીલની આ ફિલ્મથી યશ સાઉથના સુપરસ્ટારમાંથી એક નેશનલ હિરો બની ગયો હતો. સમગ્ર દેશમાં તેના ફેન્સ અચાનક વધી ગયા હતા. આ ફિલ્મમાં રાજા ખ્રિશ્નપ્પા બૈર્યા એટલે કે રોકીભાઈ નામના ગેંગ્સ્ટરની વાત છે, જે મુંબઇની ગલીઓમાંથી કોલારની રક્ત રંજિત સોનાની ખાણોનો બાદશાહ બની જાય છે. ઇન્ડિયન ફિલ્મની ઘણી લોકપ્રિય અને રસપ્રદ ફિલ્મ બની રહી હતી. ફિલ્મનો બીજો ભાગ 14 એપ્રિલ, 2022ના દિવસે રિલીઝ થઈ હતી. આ રીતે આ એક મોટી ફ્રેન્ચાઈઝી બની ગઈ હતી. તેની ભાવુક વાર્તા અને યશ, રવિના ટંડન અને સંજય દત્ત જેવા કલાકારોના યાદગાર અભિનયથી આ ફિલ્મ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. હવે ત્રણ વર્ષ પછી તેના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું એક રાક્ષસી વાવાઝોડાએ મોટા પડદા પર તોફાન લાવી દીધું હતું, જેણે થિએટરમાં ઉજવણીનો માહોલ બનાવી દીધો હતો અને સોનાનો વારસો જડી દીધો હતો. આ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. તેથી યશના ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા .