ધરારનગર આવાસ યોજનામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ છે. જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. અને બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ ચકચાર જનક હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસ ના અઠમાળીયા બિલ્ડિંગના ચોથા માળે ભાડા ના ફ્લેટમાં રહેતા અબ્બાસ ગનીભાઈ કુરેશી નામના 35 વર્ષના યુવાન પર ગઈ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં બે શખ્સોએ ચરીના ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેનું પોતાના ઘરમાં જ મૃત્યુ નિપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલામહુસૈન ગનીભાઈ કુરેશી એ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બે શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે.