તમો આહીર નથી હજામ છો ગાડીમાંથી આહીર કાઢી નાખજે યુવાનને ધમકી આપી
રાજકોટના પારડી ગામના યુવકે ત્રણ શખ્સો સામે નોંધાવી ફરિયાદ
સૌરાષ્ટ્રના આહિરા હજામ તરીકે ઓળખાતા જ્ઞાતિના સભ્ય અને આહિર જ્ઞાતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ નજીક પારડી ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવકને તમો આહિર નથી હજામ છો તેમ કહી ત્રણ શખ્સોએ બેફામ ગાળો દઈ ગાડીમાંથી આહિર કાઢી નાખજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક પારડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રહેતા અને કટારિયા કારખાનામાં નોકરી કરતા ધવલભાઈ રાજેન્દ્રભાઈ મિયાત્રા ઉ.વ.32 નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા ચોકડી પાસે રહેતા અતુલ ગોહિલ, આજીડેમ શ્રીરામ પાર્કમાં રહેતા પ્રવિણ વરજાંગભાઈ મુળુ અને શાપરના ભરત છાત્રોડિયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજાશાહી વખતે આહિર સમાજના લોકોને જેલમાં પુરી દીધેલ અને તેમની પાસે હજામતનું કામ કરાવતા હોય જેના કારણે 32 જ્ઞાતિના અટક વાળા લોકોને આહિર હજામનું ઉપનામ મળેલું હતું ત્યાર બાદ 1990માં પેથલજીભાઈ ચાવડાની આગેવાની હેઠળ જૂનાગઢમાં મળેલ મીટીંગમાં આહિરા હજામનો આહિર સમાજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની સામે ભારે વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાન ગત તા. 14-4-24ના ફરિયાદી પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે પારડીગામે ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ઘર પાસે શેરીમાં રોકી તમે આહિર નથી હજામ છો તેમ કહી ગાળો દઈ ગાડીમાંથી આહિર કાઢી નાખજે નહીંતર જાનથી મારી નાખજે તેવી ધમકી આપી આ અંગે પોલીસમાં અરજી કરતા અંતે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.