અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી મતદાન મથકમાં મહિલાનું મોત, હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું અનુમાન
લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે. 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાનની સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન યોજાયું. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને
માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ. ત્યારે નાગરિકો લાકશાહીના મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી મતદાન કરી રહ્યાં છે અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક દુખદ ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં, તેમનું મોત થયું છે.
જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં. જેઓ ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં. કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા. તે દરમિયાન મૃત્યુ થતાં બુથ પર ગમગીન વાતાવરણ છવાયું હતું. અત્રે જણાવીએ કે, જેમનુ મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.