શરમજનક હાર બાદ કે.એલ.રાહુલ કપ્તાન પદ છોડશે? અટકળો શરૂ
સંજીવ ગોયન્કા અને કે.એલ.રાહુલનો વીડિયો વાઇરલ
લખનઉ સુપરજાયંટ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 10 વિકેટથી ભૂંડી હાર મળ્યા બાદ ટીમના કપ્તાન કેએલ રાહુલની કપ્તાની પર તલવાર લટકી રહી છે. આઈપીએલ પ્લેઓફની રેસમાં એલએસજી બનેલી છે, પણ છેલ્લી બે મેચમાં ટીમને જે રીતે ભૂંડી હાર મળી રહી છે, ત્યાર બાદ કેએલ રાહુલની કપ્તાની પર સંકટના વાદળો છવાયેલા છે. તે લીગની બાકીની બે મેચમાં કપ્તાનથી હટી શકે છે. તેની જગ્યાએ ઉપ કપ્તાનને કપ્તાન તરીકે ઉતારી શકે છે. આ ઉપરાંત હવે કેએલ રાહુલ આ ટીમ સાથે આગળ પણ રમશે કે નહીં તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
વર્ષ 2022ની હરાજીમાં રેકોર્ડ 17 કરોડમાં લખનઉની ટીમ સાથે જોડાયેલ કેએલ રાહુલને 2025માં થનારી મોટી હરાજી પહેલા ટીમ દ્વારા રિટેન કરવાની સંભાવના ખૂબ જ ઓછી છે. જો કે, આ દરમ્યાન અટકળો એવી છે કે કપ્તાન ખુદ પોતાનું પદ છોડીને આગામી બે મેચમાં બેટીંગ પર ધ્યાન આપી શકે છે. આઈપીએલના એક સૂત્રે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આગામી મેચ પહેલા પાંચ દિવસનો બ્રેક છે. હાલમાં કોઈ નિર્ણય લીધો નથી, પણ એવું ધ્યાનમાં આવી રહ્યું છે કે, જો રાહુલ બાકીની બે મેચમાં ફક્ત બેટીંગ પર ધ્યાન આપવાની યોજના બનાવે છે તો મેનેજમેન્ટને કોઈ વાંધો નહીં હોય.
સનરાઈઝર્સના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 167 રનની પાર્ટનરશિપ કરીને 10 ઓવરમાં પણ મેચ જીતી લીધી હતી, જે બાદ લખનઉના ફ્રેન્ચાઈઝી માલિક સંજીવ ગોયનકા રાહુલ સાથે નારાજગીમાં વાત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ અગાઉ હૈદરાબાદની આ વિકેટ પર મહેમાન ટીમના બેટ્સમેનો પણ રન બનાવવા માટે તકલીફ થઈ હતી. આ ઉપરાંત પાવરપ્લેમાં રાહુલે 33 બોલમાં ખાલી 29 રન જ બનાવ્યા હતા. તેની ધીમી બેટીંગથી લખનઉની ટીમને ભારે નુકસાન થયું, આ હાર પાછળ આ પણ એક મોટું કારણ હોય શકે છે. જેના કારણે ગોયનકાએ ધીરજ ખોઈ દીધી અને જવાબ આપી દીધો.