ધોની અચાનક સંન્યાસ લેશે કે ફરી મેદાનમાં ઉતરશે?
ફરી વખત ગર્જના કરતો આવશે તેવો રોબિન ઉથપ્પાનો દાવો
મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો નિરાશ થયા જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ આરસીબી સામેની હાર સાથે અંતિમ ચારની રેસમાંથી બહાર થઈ ગઈ. ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ કદાચ છેલ્લી ઈંઙક હોઈ શકે છે. ચેન્નાઈની ટીમ આ ખિતાબ સાથે ધોનીને વિદાય આપી શકી હોત પરંતુ આ બધું થયું નહીં. મહેન્દ્ર સિંહ ધોની તેના અચાનક લીધેલા નિર્ણયો માટે જાણીતો છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી નથી અને તે પણ કહ્યું નથી કે તે આગામી સિઝનમાં ફરી રમવા આવશે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન છે કે માહી હવે શું કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન રોબિન ઉથપ્પાનું નિવેદન મહત્વનું છે.
જિયો સિનેમા પર બોલતા ઉથપ્પાએ કહ્યું કે મને નથી લાગતું કે અમે ધોનીને છેલ્લી વખત રમતા જોયો હોય. તે એવી વ્યક્તિ નથી જે આ બાબતોને હળવાશથી લેશે. તે ફરી ગર્જના કરતો આવવાનો છે. તેણે એમ પણ કહ્યું કે ધોની તેની પિંડીની ઈજાને સંભાળી રહ્યો છે અને તેથી તે આખી ઇનિંગ્સ રમવા માટે મેદાન પર નથી આવતો. હવે જોવું એ રહ્યું કે ધોની આગામી સિઝનમાં ફરી ચેન્નાઈ તરફથી રમતા જોવા મળશે કે કેમ. ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો ધોનીને દરેક સિઝનમાં રમતા જોવા ઈચ્છે છે. જો કે, તે શું કરશે તે સંપૂર્ણપણે માહી પર નિર્ભર છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ અચાનક નિવૃત્તિ લઈ લીધી. ધોની અચાનક લીધેલા નિર્ણયો માટે જાણીતો છે.