સાવરકુંડલામાં વિધવાની ભેદી હત્યા, પુત્રવધૂ-વેવાણ ઉપર શંકા
ઘરમાં આવેલા પુત્રની આંખમાં પણ સાસુએ મરચું છાંટ્યું, રહસ્યમય બનાવથી ચકચાર
સાવરકુંડલાની ફ્રેન્ડસ સોસાયટીમા રાત્રીના સમયે એક 50 વર્ષીય વિધવા મહિલાની શરીર પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામા આવતા પોલીસ દોડતી થઇ છે.યુવક જયારે ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાની લાશ પડી હતી. અને ઘરમા હાજર પત્નીની માતાએ યુવક પર મરચુ છાંટતા જ તે દોડીને બહાર ભાગ્યો હતેા અને લોકોને જાણ કરી હતી.
વિધવા મહિલાની ઘાતકી હત્યાની આ ઘટના સાવરકુંડલામા ફ્રેન્ડસ સોસાયટીમા બની હતી. અહી પ્રસાદ નામના મકાનમા બીનાબેન જીજ્ઞેશભાઇ પાઠક (ઉ.વ.50) નામની મહિલાની હત્યા થઇ હતી. રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે પોલીસને જાણ થઇ હતી જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતક બીનાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમા ખસેડી હતી.
મૃતક મહિલાને ગળાના ભાગે અને શરીર પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકાયા હતા. તેમના વાળ અને શરીર પર મરચુ ચોંટયું હતુ.તેમના પુત્ર વૈભવે પોલીસને પ્રાથમિક તબક્કે એવુ કહ્યું હતુ કે તે રાજુલાથી નોકરી કરી રાત્રે ઘરે આવ્યો ત્યારે ઘરમા તેની પત્ની અને સાસુ હાજર હતા.
જયારે તેની માતાની લોહીલુહાણ લાશ પડી હતી. તેની સાસુએ તેની આંખમા મરચુ છાંટયુ હતુ જેથી તે દોડીને બહાર ભાગ્યો હતો અને રાડારાડ કરી લોકોને ભેગા કર્યા હતા. અને બાદમા પોલીસને જાણ કરાઇ હતી.
આ મહિલાની હત્યા પ્રથમ દ્રષ્ટિએ પારિવારીક ઝઘડાના કારણે થઇ હોવાનુ જણાતા પોલીસે મૃતક મહિલાની પુત્રવધુ અને વેવાણની પુછપરછ શરૂૂ કરી હતી. એટલુ જ નહી તેના પુત્રની પણ પુછપરછ શરૂૂ કરી છે.
પોલીસે આ મુદે સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા પણ પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પીઆઇ પરમાર ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ ફરિયાદ અને તપાસ બાદ હત્યારા અને હત્યાનુ સાચુ કારણ બહાર આવશે.
મૃતક બીનાબેનનો પુત્ર હાલમા રાજુલામા ખાનગી બેંકમા નોકરી કરે છે. જયારે બીનાબેનના પતિનુ બે વર્ષ પહેલા કોરોનામા અવસાન થયુ હોવાનુ જાણવા મળેલ છે.