‘કેમ અમને જોઈને મૂછો મરડે છે’, તેમ કહી અનુસૂચિત જાતિના વેપારીને હડધૂત કરી માર માર્યો
રાજકોટની ભાગોળે લોધીકા તાલુકાના પાટડી ગામે ઉધાર આપેલ પૈસા બાબતે ચાલી આવતી માથાકુટના કારણે પાનના ધંધાર્થી અનુસુચિત જાતિના વેપારી યુવાનને કેમ અમને જોઈને મુછો મરડે છે તેમ કહી મહિલા સહિત પાંચ શખ્સોએ લાકડી વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ લોધીકાના પાટડી ગામે શીતળા મંદિર પાછળ રહેતા અને મેઈન રોડ પર સંધ્યા પાન નામની દુકાન ધરાવતા લલીતભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.37)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાટડી ગામે રહેતા સમીનાબેન ઈરફાનભાઈ, ફરજાનાબેન, આહીસ્તાબેન, ઈરફાન અને શાહરૂખનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ અગાઉ ઈરફાન અને શાહરૂખને તેમની બહેનના લગ્ન વખતે પૈસા ઉધાર આપ્યા હતા જે પૈસા પરત માંગતા હોય જે આપવા ન પડે તે માટે અવાર નવાર બહાના કાઢતા હતાં. દરમિયાન ગઈકાલે ફરિયાદી પોતાનીપાનની દુકાને બેઠા હતા ત્યારે ઈરફાનની પત્ની અને બહેને આવી મુછો કેમ મરડે છે તેમ કહી અપમાનીત કર્યા હતા અને થોડીવારમાં ઈરફાન અને શાહરૂખ લાકડી સાથે ધસી આવી વેપારીને મારમાર્યો હતો આ અગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.