ફાયર NOC કોણ કાઢશે : અધિકારીઓ જેલમાં
CFOની ડેપ્યુટેશન પર સરકાર નિમણૂક કરશે ત્યાર બાદ કામ ચાલુ થશે અથવા ઈન્ચાર્જ નિમાશે
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની માઠી બેઠી હોય તેમ મોટાભાગના તમામ વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ છે. ત્યારે જ ફાયર વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 સહિતના બે અધિકારીઓની ધરપકડ થતાં ફાયર એનઓસીની તમામ પ્રકારની કામગીરી બંધ થઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે. અને હવે અધિકારીઓ જેલમાં હોવાથી ફાયર એનઓસી કોણ કાઢશે તે મુદ્દે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે.
અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી મુદ્દે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક ચેકીંગ કામગીરી હાથ ધરી 500થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. જે સરકારની સુચના બાદ સોગંદનામાના આધારે હાલ પુરતા ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ ખુલી ગયેલા એકમોએ નિર્ધારિત સમયમાં ફાયર એનઓસી મેળવી લેવાની સુચના અપાઈ છે. જેના કારણે દરરોજ અનેક સંચાલકો દ્વારા નવી ફાયર એનઓસી માટે અરજીઓ કરવામાં આવી રહી છે. ફાયર એનઓસીને મંજુરી સીએફઓ દ્વારા જ આપવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકાના ક્લાસ-1 અને ક્લાસ-2 બન્ને ઓફિસરની અગ્નિકાંડ મુદ્દે ધરપકડ કરવામા આવી છે.
અને તેમની ઓફિસોને તાળા મારી દેવામાં આવ્યા હોય ક્લાસ-3ના અધિકારીઓ દ્વારા હાલ નવી ફાયર એનઓસીની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કારણ કે, ફાયર એનઓસીના ડેક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ ફાઈનલ ડિસીઝન સીએફઓ દ્વારા લેવામાં આવતું હોય છે. તેમજ ક્લાસ-2 ઓફિસર દ્વારા પણ ફાઈલની ચકાસણી દરમિયાન ક્વેરી હોય તો તે બાબતે ક્લાસ-3ના અધિકારીને જાણ કરી ફાઈલ રોકવામાઁ આવતી હોય છે. પરંતુ બન્ને અધિકારીઓની ધરપકડ થયેલ હોય ક્લાસ-3ના અધિકારીઓ પાસે સત્તા ન હોવાથી હાલ નવી ફાયર એનઓસી કાઢવાની કામગીરી સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે સીલ ખોલવામાં આવેલ મિલ્કતોને હવે ક્યારે ફાયર એનઓસી મળશે તે મુદ્દે તંત્ર ખુદ વિસામણમાં મુકાઈ ગયું છે.
મનપાના ફાયર વિભાગનીતમામ કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે. ક્લાસ-1 અને ક્લાસ-2 બન્ને અધિકારી હાલ લોકઅપમાં હોવાથી સરકાર દ્વારા ટીપીઓની માફક સીએફઓની ડેપ્યુટેશન ઉપર નિમણુંક કરે તો કામ ચાલુ થઈ શકે તેમ છે અથવા કમિશનર દ્વારા હુકમ કરી ફાયર વિભાગના સિનીયર અધિકારીને સત્તા આપવી પડે ત્યારે નવી ફાયર એનઓસીનું કામ ચાલુ થશે આમ હાલમાં ફાયર એનઓસીની કામગીરી ઠપ્પ થઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે.