ભાજપમાં ઘરના જ ઘાતકી કોણ? શિસ્ત સમિતિએ રિપોર્ટ મગાવ્યો
પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતિની બેઠક મળશે, સાંસદ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારોના નામ ચર્ચામાં
લોકસભાની ચુંટણીના ઉમેદવારોના નામ જાહેર થવાથી માંડીને મતદાન સુધી ભાજપના જ ચોકકસ લોકોની પક્ષ વિરોધી પ્રવૃતિઓ નિવેદનો બાબતે હવે ભાજપ શિસ્ત સમિતિ એકશનમાં આવી છે અને આ બાબતે જીલ્લા સંગઠનો પાસેથી રિપોર્ટ માંગવામાં આવતા આ મામલે આગામી દિવસોમાં મોટા કડાકા-ભડાકા થવાની સંભાવના છે.
ભાજપને લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને વડોદરામાં જાહેર કરેલા બે ઉમેદવારો બદલવા પડયા છે. એ સિવાય આઠ મતક્ષેત્રમાં ભાજપના જ ઉમેદવારો સામે ભાજપના જ જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, બેઠકના પ્રભારીઓ સહિત પહેલી હરોળના નેતા, કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ કામો કર્યાની ફરીયાદો મતદાન બાદ ફુટી રહી છે.
આ અસંતુષ્ટોની સામે શિસ્ત ભંગના નિર્ણયો લેવા માટે ચોથી જૂને ચૂંટણી પરીણામો બાદ ભાજપની શિસ્ત સમિતિની બેઠક મળશે. સાબરકાંઠા લોકસભા બેઠકમા જિલ્લા પ્રમુખ, બનાસકાંઠામાં બે ધારાસભ્યો, ચૂંટણી ઈન્ચાર્જ, વડોદરામાં સાંસદ, જૂનાગઢમાં પૂર્વ મંત્રી, અમરેલીમાં સાંસદ, આણંદ લોકસભામાં ધારાસભ્ય, પોરબંદર મતક્ષેત્રમાં ધારાસભ્ય, બે પૂર્વ મંત્રીઓ, રાજકોટમાં પ્રદેશના હોદ્દેદાર અને પાટણમાં ધારાસભ્યોએ પાર્ટી વિરૂૂધ્ધ કામગીરી કર્યાનો કકળાટ શરૂૂ થયો છે. ચૂંટણી દરમિયાન પ્રચારથી શરૂૂ કરીને, સોંપાયેલી જવાબદારી નિભાવવામાં બેદરકારી રાખવી, ઓછુ મતદાન અને તેના વલણને લઈને પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિએ જિલ્લા એકમો પાસેથી અહેવાલો માંગ્યા છે. જેમાં કોણે કોને હરાવવા ટાંટિયાખેચ કરી, નિવેદનો કર્યો તે અંગે વિગતો પુરાવા સાથે વૃતાંત માંગવામાં આવી રહ્યો છે. ભાજપના ટોચના નેતાએ આ મુદ્દે કહ્યુ કે, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને ઓળખવા પહેલીવાર સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો છે. હવે જિલ્લા સંગઠનો પાસેથી માહિતી એકત્ર થયા બાદ પ્રદેશની શિસ્ત સમિતિ નિર્ણય થશે.