સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન 6.4% ઘટતા રાજકીય પક્ષોની ઊંઘ હરામ
અમરેલી બેઠક ઉપર માત્ર 49.44 ટકા મતદાન, પોરબંદર-ભાવનગરમાં પણ પાંચ ટકા મતદાન ઘટ્યુ
લોકસભા 2024ની ચૂંટણીમાં તંત્ર દ્વારા મતદાન વધારવા માટે ખૂબ પ્રયાસો કરાયા હોવા છતા સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠકોમાં મતદાનની ટકાવારીમાં 6.40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ મતદાન રાજકોટ બેઠક પર થયું છે અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર નોંધાયું છે. પોરબંદર બેઠક પર 2019માં 58.41 ટકાની સામે 5.04 ટકા ઓછું 51.76 ટકા મતદાન નોંધાયુ છે. ભાવનગર બેઠક પર સૌથી વધુ 6.40 ટકા મતદાન ઘટતા કુલ 52.01 ટકા જેટલું ઓછુ મતદાન નોંધાયું છે.
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં લોકસભા બેઠક સમાવેશ થતા વિધાનસભા મત વિસ્તાર મુજબ સોમનાથમાં સૌથી વધુ 69.55% મતદાન નોંધાયું છે. ભાવનગર લોકસભા વિસ્તારની ગઢડા વિધાનસભામાં ફ્કત 44 ટકા જેટલું સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
ભારે ઉત્સાહ અને અપેક્ષાઓ વચ્ચે પણ મતદાનમાં થયેલો ઘટાડો ચોકાવનારો માનવામાં આવી રહ્યો છે અને મતદારોને ધીરે ધીરે રાજકીય નેતાઓ ઉપરથી ભરોસો ઉઠી રહ્યો હોય તેવી પ્રતિતિ થઈ રહી છે મતદાનમાં ઘટાડા પાછળના અનેક કારણો દર્શાવાય છે. મહદઅંશે ભારે ગરમીના કારણે મતદાન ઘટ્યાનું ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. પરંતુ ખરેખર મતદાન ઘટવા પાછળના કારણો અંગે મનોમંથન કરવાનો સમય આવી ગયો હોય તેમ અનેક પ્રકારની જાગૃતિ ઝુંબેશ ચલાવવા છતાં મતદારો ઘરબહાર નિકળ્યા નહીં તે બાબત ખરેખર ચીંતાજનક છે.
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/05/333-1.jpg)
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/05/222-1024x204.jpg)
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/05/111-1-1024x200.jpg)