રૂા.23 અબજનું પેકેજ છતાં POKમાં હિંસા: ત્રણનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકોનો ગુસ્સો અટકી રહ્યો નથી અને સ્થિતિ ખૂબ જ તંગ છે. સોમવારે, શાહબાઝ શરીફ સરકારે POK માટે 23 અબજ રૂૂપિયાનું સબસિડી પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ તેનાથી પણ આંદોલનકારીઓ સંતુષ્ટ ન થયા અને સાંજે હિંસા ફાટી નીકળી. સુરક્ષા દળોએ બળપ્રયોગ કર્યો, જેમાં 3 લોકોના મોત થયા. આ સિવાય 6 લોકો ઘાયલ પણ થયા છે. અગાઉ, શાહબાઝ શરીફ સરકારે 23 અબજ રૂૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ઘઉં અને વીજળી સબસિડીનો સમાવેશ થાય છે.
આ અંતર્ગત હવે POKમાં 40 કિલો લોટનું પેકેજ 2000 રૂૂપિયામાં મળશે, જે અત્યાર સુધી 3100 રૂૂપિયામાં મળતું હતું.આ સિવાય વીજળીના દરમાં કેટલીક છૂટછાટની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ POKના લોકોનો ગુસ્સો અટક્યો નથી. શુક્રવારથી ચાલી રહેલું આંદોલન હજુ પણ ચાલુ છે અને તેમાં સામેલ જોઈન્ટ અવામી એક્શન કમિટીનું કહેવું છે કે તેઓ આજે આ અંગે નિર્ણય લેશે. સમિતિનું કહેવું છે કે પીઓકેમાં ખાદ્યપદાર્થો, ઈંધણ અને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો ઘણી વધારે છે. અવામી કમિટી મુખ્યત્વે ઉદ્યોગપતિઓની સંસ્થા છે, પરંતુ તેને સામાન્ય લોકોનો પણ મોટો ટેકો મળી રહ્યો છે. ખાસ કરીને લોકો આરોપ લગાવે છે કે પાકિસ્તાન પીઓકેના સંસાધનોનું શોષણ કરી રહ્યું છે, પરંતુ ત્યાંના નાગરિકો પણ મૂળભૂત સુવિધાઓ માટે તલપાપડ છે.