ગળોદરના વીર જવાનને ગ્રામજનોની અંતિમવિદાય
માળીયા હાટીનાના ગળોદર ગામનો યુવાન ભોમની રક્ષા કરતા શહીદ થયો હતો. આર્મીમાં ફરજ બજાવતા માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના દિનેશ નાથાભાઈ સિંધવની અચાનક તબિયત ખરાબ થતા સારવાર દરમિયાન અવસાન થતાં માળીયા હાટીના તાલુકા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ગળોદર જેવા નાના ગામના આર્મી જવાનનું મ્રુત્યુ થતાં માળીયા હાટીના તાલુકા પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી, ત્યારે આજુબાજુના ગામડાંમાં વીર જવાનના મૃત્યુની જાણ થતાં માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામમાં હજારો લોકો દોડી આવ્યા હતા.આર્મી જવાનને ઇન્ડિયન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જવાનના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એવા વિલાપના દૃશ્યો સર્જાયા હતા. સ્વ.દિનેશ નાથાભાઈ સિંધવ ને ખેડૂત પરિવાર માંથી આવે છે તેને એક દીકરો હરપાલ સિંહ અને એક દીકરી હર્ષિતાબા છે બંને 3 વર્ષના છે.આ 3 વર્ષના દીકરા એ પિતાની અંતિમ સંસ્કાર આપ્યો હતો.અંતિમ યાત્રામાં હજારોની જન મેદની વચ્ચે ગાર્ડ ઓફ ઓનરથી આર્મી જવાનને સન્માન આપવામાં આવ્યું હતું. આ અંતિમ યાત્રામાં માળીયા હાટીના પીએસઆઈ પી.કે.ગઢવી, સહિત પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો અને હાટી ક્ષત્રીય સમાજના આગેવાનો અને નવયુવાનો જોડાયા હતા.
જૂનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ રમેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે આજે ગળોદર ગામના એક સપૂત આજે શહીદ થયા છે. ત્યારે ગળોદર ગામ નો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે કે આ ગામનો એક જવાન શહીદ થયો છે.5001 બટાલિયનમાં છેલ્લા સાત વર્ષથી નોકરી કરતા આકસ્મિક મૃત્યુ થયું છે ત્યારે પરમ કૃપા પરમાત્મા તેમના પરિવારને શાંત્વના આપે.માજી સૈનિક સંગઠન હંમેશા સહીદ વીર જવાનના પરિવારની સાથે છે અને જે આર્મીના ફંડ માટેના ડોક્યુમેન્ટની તમામ કાર્યવાહી માજી સૈનિક સંગઠન કરશે.
માળીયાહાટી ક્ષત્રિય સમાજના આગેવાન પિયુષ પર મારે જણાવ્યું હતું કે ગળોદર ગામનો વીર જવાન દેશભૂમિની રક્ષા માટે ગયો હતો જ્યાં આકસ્મિક રીતે મૃત્યુ થતાં તે આજે શહીદ થયો છે. આજે ગળોદર ગામે તેમની અંતિમયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.