રાજકોટમાં રવિવારે UPSCની પરીક્ષા
સૌરાષ્ટ્રનાં 3024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે; 12 કેન્દ્રોમાં પેપર-1, પેપર-2 લેવાશે; ડેપ્યુટી કલેક્ટરને જવાબદારી સોંપાઈ
રાજકોટમાં આગામી રવિવાર તા.16 જૂનના રોજ યુપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હોય જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને યુપીએસસીની પરીક્ષાના 12 કેન્દ્રો માટે 3 ડેપ્યુટી કલેકટરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ યુપીએસસી બોર્ડ દ્વારા પેપર પણ રાજકોટ મોકલાવી દેતાં તેને સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેના પર પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો છે.
રાજકોટનાં 12 કેન્દ્રોમાં આગામી તા.16 જૂનને રવિવારના યુપીએસસી દ્વારા પેપર-1 અને પેપર-2 લેવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રનાં 3024 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. સવારે 9.30 કલાકે પહેલું પેપર શરૂ થશે જે સાડા અગિયાર વાગ્યે પુરૂ થશે અને ત્યારબાદ બીજુ પેપર 2.30 કલાકે શરૂ થશે અને 4.30 કલાકે પુરૂ થશે. યુપીએસસીની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ તે માટે એક બે દિવસમાં એડિશ્નલ કલેકટર દ્વારા જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવશે અને આ અંગેની તમામ જવાબદારીઓ રાજકોટનાં ત્રણેય ડેપ્યુટી કલેકટરોને સોંપવામાં આવી છે.