ગોંડલ પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસે 3 બાળકોનો ભોગ લીધો
રાણસીકી ગામના સરપંચની ચોંકાવનારી કબુલાત, પડધરી અને કાલાવડના પણ બે શંકાસ્પદ દર્દી દાખલ : રાજ્યમાં મૃત્યુઆંક 35 પર પહોંચ્યો, શંકાસ્પદ કેસોની સંખ્યા 90 નજીક
ગુજરાતમાં કહેર મચાવી રહેલ ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ કેસની સંખ્યા રોજેરોજ વધી 90 નજીક પહોંચ્યા છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ગોંડલના અનિડા ગામના વધુ એક બાળકે દમ તોડી દીધો છે. જ્યારે ગોંડલના રાણસીકી ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા બે બાળકોના પણ મોત થયાના સરપંચે આક્ષેપ કરતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 35 થયો છે. આ સાથે રાજકોટમાં ચાંદીપુરા વાઈરસના આ આઠમાં શંકાસ્પદ દર્દીનું મૃત્યુ નિપજ્યું.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સરપંચ ઘનશ્યામભાઈ કાછડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાણસીકી ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા બે બાળકોના મોત થયા છે. એક બાળકના સેમ્પલ લેવાયા હતાં. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે બીજા બાળકનું સારવાર મળે તે પહેલા જ ઘરે મોત થયાનું જણાવ્યું હતું અને આ બન્ને શંકાસ્પદ કેસો રાણસીકી ગામની સીમમાં જોવા મળ્યા હતાં. જે અંગે આરોગ્ય વિભાગને જાણ કરતાં તાત્કાલીક આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ચાંદીપુરા વાઈરસના બે શંકાસ્પદ દર્દી દાખલ થયા હતાં. જેમાં ગોંડલના અનિડા ગામે રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાત માસના બાળકને દાખલ કરવામાં આવેલ જેનું મૃત્યુ નિપજ્યું હતું. બાળકના બ્લડ સેમ્પલ પુના મોકલવામાં આવેલ છે. જ્યારે બીજા દર્દી પડધરીથી આવેલ છે. જ્યાં દાહોદનાં શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકીને શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ સિવિલમાં ખસેડાયેલ છે.
ગઈકાલે રાજ્યમાં આ રોગને કારણે 5 દર્દીના મોત થયા છે. જ્યારે આજે રાજ્યમાં નવા 13 શંકાસ્પદ ચાંદીપુરાનાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 90 ચંદીપુરાનાં શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં ચાંદીપૂરાનાં હાલમાં 46 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
અગ્ર સચિવ અને કમિશ્નર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:21/07/2024ના રોજ વિભાગીય નાયબ નિયામક્શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, જિલ્લા એપિડેમિક મેડીકલ અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, એટેમોલોજિસ્ટ વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 90 કેસોમાંથી ગઈકાલે અમદાવાદ કોર્પેરેશન 02, અરવલ્લી 02, સુરેન્દ્રનગર 01,બનાસકાંઠા 02, ગાંધીનગર કોર્પેરેશન 01, ખેડા 01, મહેસાણા 01, નર્મદા 01, વડોદરા કોપેરેશન 01, રાજકોટ કોર્પેરેશન 02 શંકાસ્પદ કેસો નવા મળેલ છે. મહીસાગર 01, ખેડા 01, બનાસકાંઠા 02, વડોદરા કોર્પેરેશન 01, મા દર્દીઓ મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 46 દર્દી દાખલ છે તથા 01 દર્દીને રાજા આપેલ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 18729 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અને કોર્પોરેશનને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે માહિતગાર કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે. દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવેલ છે.