નોકરીની શોધમાં આવેલી યુવતી એસ્ટ્રોન ચોકના નાળામાં લટકી ગઈ
પિતાના અવસાન બાદ દિવ્યાંગભાઈ અને ત્રણ બહેનોના આધાર સ્થંભ સમાન જૂનાગઢની યુવતીના સરાજાહેર આપઘાતથી અરેરાટી
રાજકોટના જાગનાથ પ્લોટમાં રૂમ ભાડે રાખી રહેતી અને હેવલ્સના શો રૂમમાં નોકરી કરતી યુવતીને સરકારી નોકરી નહીં મળતા નીરાશ થયેલી યુવતીએ એસ્ટ્રોન ચોક પાસે નાલામાં જાહેરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુળ જુનાગઢના કેરાળા ગામની વતની યુવતીના પિતાનું 17 વર્ષ પૂર્વે અવસાન થયા બાદ દિવ્યાંગ ભાઇ અને ત્રણ બહેનોનો આધાર સ્થંભ હતી. પરિવારને આર્થિક મદદરૂપ થતી યુવતીને સરકારી નોકરી કરી પરિવારની મદદ કરવાના સ્વપ્ના જોયા હતાં.
પરંતુ તે સફળ નહીં થતાં તેણે ગઈકાલે રાત્રે આપઘાત કરી લીધો હતો. પરિવારનો આધારસ્તંભ યુવતી અનેક વખત સરકારી નોકરી માટેની પરીક્ષા આપ્યા છતા સફળતા નહીં મળતા તે જીંદગીની જંગ હારી ગઇ હતી અને ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, જુનાગઢના કેરાળા ગામની વતની અને હાલ રાજકોટના ન્યુ જાગનાથમાં શેરી નં.25માં રૂમ ભાડે રાખી રહેતી અને જાગનાથમાં આવેલા હેવલ્સ કંપનીના શો રૂમમાં નોકરી કરતી તેમજ સાથે સાથે સરકારી નોકરીની તૈયારીઓ કરતી નીતાબેન કાળુભાઇ સોલંકી (ઉ.વ.28)નામની યુવતીએ એસ્ટ્રોન ચોકના નાલામાં રેલીંગ સાથે મોડી રાત્રે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. રૂમ ભાડે રાખી પીજીમાં રહેતી નીતાના આપઘાત અંગેનુ કારણ જાણવા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે જુનાગઢના કેરાળા ગામની નીતાબેન છેલ્લા ઘણા વખતથી રાજકોટમાં આવી સરકારી નોકરીની તૈયારીઓ કરતી હતી અને સાથે સાથે હેવલ્સ કંપનીના શો રૂમમાં નોકરી કરતી હતી નીતાબેનના પિતાનું 17 વર્ષ પૂર્વે અવસાન થયો છે. ચાર બહેન અને એક ભાઇમાં સૌથી મોટી નિતાબેનનો ભાઇ દિવ્યાંગ હોય અને અન્ય ત્રણ નાની બહેનો પરિવારના ગુજરાનની જવાબદારી પોતાના ઉપર આવી પડી હતી. સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતી નીતાબેનને સરકારી નોકરી નહીં મળતા તે નીરશ થઇ ગઇ હતી. અને આજે તેણે એસ્ટ્રોન ચોકના બગીચામાં જાહેરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પરિવાર માટે સરકારી નોકરીના સ્વપ્ના જોનાર નીતા જિંદગીથી જંગ હારી ગઈ
એસ્ટ્રોન ચોક નજીક આવેલા નાલામાં રેલીંગ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર નીતાબેન સોલંકીની જીંદગીની કરૂણતા જાણીને તેની સાથે રૂમ ભાડે રાખી રહેતી તેની સહેલીઓ પણ ચોધાર આંસુએ રડી પડી હતી. 17 વર્ષ પૂર્વે પિતાના અવસાન બાદ પરિવારના 6 સભ્યોમાં નીતાબેન સૌથી મોટા હતાં. ત્રણ નાની બહેનો અને એક દિવ્યાંગ ભાઈ તેમજ માતા ઉપર કાળુભાઈના અવસાન બાદ આભ તુટી પડયું હતું. નીતાબેન ભણવામાં હોશિયાર હોય પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારનો આધાર સ્થંભ નીતા પરિવારને આર્થિક મદદ રૂપ થવા માટે રાજકોટ આવી હતી અને સરકારી નોકરી મળે તો પરિવારનું ભરણ પોષણ થઈ શકે તેવા આશયથી સરકારી નોકરીની તૈયારીઓ કરતી હતી. સાથે સાથે એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના અને પરિવારને આર્થિક સહાય મળે તે રીતે કામ કરતી હતી. સરકારી નોકરીના સ્વપ્ના જોનાર નેતાએ અનેક વખત સરકારી નોકરીની પરીક્ષાઓ આપી હતી. પરંતુ કોઈ કારણોસર તે તેમાં સફળ ન થતાં નિરાશ થયેલી નિતાએ જીંદગી સામેનો જંગ હારી ગઈ હતી અને અંતે આ ફાની દુનિયા છોડી આપઘાત કરી લીધો હતો. પરિવારનો આધાર સ્થંભ નીતાના આપઘાતથી તેના પરિવારજનો પણ હતપ્રભ બની ગયા હતાં.