હિરાસર એરપોર્ટ ઉપર ફરજ બજાવતા ફાયરમેન સહિત બેના હાર્ટએટેકથી મોત
ગંજીવાડાના યુવાને બીમારી સબબ સારવારમાં દમ તોડ્યો
કાળઝાળ ગરમી વચ્ચે હદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ રાજકોટમાં વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ છે. જેમાં હીરાસર એરપોર્ટ ઉપર ચાલુ ફરજ દરમિયાન ફાયરમેન અને ભીમનગરમાં યુવાનનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં એરપોર્ટ એરોડ્રામમા રહેતા અને ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ છગનભાઈ મકવાણા નામના 47 વર્ષના ફાયરમેન હિરાસર એરપોર્ટ ખાતે નોકરી ઉપર હતા ત્યારે ચાલુ ફરજ દરમિયાન મુકેશભાઈ મકવાણાને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા ફાયરમેનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં નાના મવા રોડ ઉપર આવેલા ભીમનગરમાં રહેતા રાજેશ જેન્તીભાઈ વાઘેલા નામનો 31 વર્ષનો યુવન રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં ગંજીવાડા મફતીયાપરામાં રહેતા રાજેશ સવજીભાઈ ચૌહાણ નામનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બીમારી સબબ ઢળી પડ્યો હતો. યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.