ભગવતીપરા બ્રિજ પાસે વંદે ભારત ટ્રેનની ઠોકરે યુવાનનું કરુણ મોત
યુવાન ફાકી લેવા જવાનું કહી નીકળ્યો હતો: આધાર સ્થંભ સમાન પુત્રના મોતથી અરેરાટી
શહેરના ભગવતીપરા ઓવર બ્રીજ નીચે રાત્રીના અજાણ્યો યુવાન વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરતાં યુવાન ભગવતીપરામાં મેઈન રોડ પર ભરડીયા પાસે ભારત પાનવાળી શેરીમાં રહેતાં રોહિત ભરતભાઇ સોલંકી (ઉ.વ.21) હોવાનું ખુલ્યું હતું.
સૌ પ્રથમ અજાણ્યો યુવાન વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતાં મોતને ભેટયો હોવાની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ એ.વી. બકુતરા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.ત્યારબાદ ઘટના અંગે વિસ્તારમાં તપાસ કરતાં યુવાન ભગવતીપરાનો રોહિત સોલંકી હોવાનું ખુલતાં તેના સગાને જાણ કરાઇ હતી.તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા ઘણા સમય પહેલા લાપતા થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોતે માતા,ભાઇ,બહેન સાથે રહેતો હતો. રાતે ફાકી લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આ ઘટના બની હતી.
તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાયો હતો.આ ઘટનામાં કારણ જાણવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.પરિવારમાં રોહિત આધારસ્થંભ સમાન હતો અને આ ઘટનાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.