ખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે શ્રમિક પરિવારની મુક બધિર બાળાનું કરુણ મૃત્યુ
11:50 AM Jun 05, 2024 IST | Bhumika
Advertisement
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની આઠ વર્ષની મુક બધિર બાળાનું ટ્રેનની અડફેટે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહી એક આસામીને ત્યાં કામ કરતા ધનુભાઈ મગનભાઈ અજનેર નામના 30 વર્ષના યુવાનની આઠ વર્ષની પુત્રી સુનીતા કે જે સાંભળી કે બોલી શકતી ન હતી. આ બાળા ગઈકાલે મંગળવારે ભાતેલ ગામના વાડી વિસ્તારમાં હતી. ત્યારે રમતા રમતા તેણી આ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ચડી ગઈ હતી. એ દરમિયાન એકાએક ટ્રેન આવી ચડતા મુક બધિર એવી આ બાળા ટ્રેનના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઈ ગઈ હતી અને તેણીનું લોહી લુહાણ હાલતમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળાના પિતા ધનુભાઈ અજનેરએ અહીંની પોલીસને જાણ કરી છે. માસુમ બાળકીના અપમૃત્યુના આ બનાવે તેણીના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
સુરજકરાડી નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અશોકભાઈ રાજાભાઈ મકવાણા નામના 26 વર્ષના યુવાન ગત તારીખ 1 ના રોજ સુરજકરાડી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા અને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા રાજાભાઈ બુધાભાઈ મકવાણા (ઉ.વ. 53)એ મીઠાપુર પોલીસને કરી છે.
Advertisement
Advertisement