રાજકોટમાં લોનની ઉઘરાણીથી કંટાળી સગીરાએ જાહેર શૌચાલયમાં એસિડ પી લીધું
કચ્છના ગાંધીધામ પંથકમાં આવેલા વારય ગામે રહેતો પરિવાર ત્રણ દિવસ પૂર્વે જ પેટીયુ રળવા માટે રાજકોટ આવ્યો હતો અને રાજકોટમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં મકાન ભાડે રાખવા માટે મકાનની શોધખોળ કરતો હતો તે દરમિયાન સગીરાએ ફાયનાન્સમાંથી લીધેલી લોનની ઉઘરાણીથી કંટાળી જાહેર શૌચાલયમાં એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગાંધીધામના વારય ગામે રહેતી પાયલબેન રમેશભાઈ વઢરીયાળા નામની 17 વર્ષની સગીરા રાજકોટમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં હતી ત્યારે રાત્રિના ત્રણેય વાગ્યાના અરસામાં જાહેર શૌચાલયમાં એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતાં બે શૂધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં એસિડ પી લેનાર પાયલ વઢરીયાળાનો પરિવાર ત્રણ દિવસ પૂર્વે જ રાજકોટમાં મજુરી કામ માટે આવ્યો હતો. પાયલ વઢરીયાળાના પરિવારે ફાયનાન્સમાંથી અગાઉ રૂા.45 હજાર અને 35 હજારની બે લોન લીધી હતી. જે લોનની ઉઘરાણીથી કંટાળી પાયલ વઢરીયાળાએ એસિડ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માલવીયાનગર પોલીસે નોંધ કરી તપાસનો દૌૈર લંબાવ્યો છે.