તિરૂપતિમાં એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
કોઠારિયામાં પરિવારે દારૂ પીવાની ના પાડતા યુવાને એસિડ પી લીધું
શહેરમાં રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોક પાસે આવેલા તિરુપતિ-5માં માવતરના ઘરે રહેતી પરિણીતાએ એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હનુમાન મઢી ચોક પાસે આવેલા તિરુપતિ-5માં રહેતી બીનલબેન યોગેશભાઈ ચાવડા નામની 40 વર્ષની પરિણીતા તેના પિતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બીનલબેન ચાવડાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા ગામે રહેતા હરેશ ગંગાજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવકને તેના પરિવારે દારૂૂ પીવાની ના પાડતા યુવકને માઠુ લાગી આવતા એસિડ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જુદા-જુદા ચાર સ્થળે બઘડાટી: ચાર યુવકને ઇજા
શહેરમાં જુદા જુદા ચાર સ્થળે મારામારી થઈ હતી જેમાં ભાવનગર રોડ ઉપર આરએમસી ઓફિસની સામે રૈયા ગામના મેરામ સુરેશભાઇ સોલંકી (ઉ.વ.25) ઉપર સલીમ અને અકબરે છરી વડે હુમલો કર્યો હતો. સંત કબીર રોડ ઉપર આવેલ સંજયનગર સોસાયટીમાં રહેતા અરવિંદ દેવારામભાઈ કુશવા નામના 21 વર્ષના યુવકને અજાણ્યા શખ્સે માર માર્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં સત્યન્દ્ર રામચંદ્ર સાદુ (ઉ.વ.25) ઉપર ઇમ્તિયાઝ અને સાહિલ નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. પુષ્કરધામ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતો ભીખુભાઈ નારણભાઈ ઉનેવાળ નામનો 40 વર્ષનો યુવાન ભક્તિનગર સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં હતો ત્યારે વિશાલ નામના શખ્સે ધક્કો મારતા પડી ગયો હતો. મારમારીમાં ઘવાયેલા ચારેય યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.