ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામા, સુલતાનપુરમાં ત્રણ સિંહે ગાયને ફાડી ખાધી
ગોંડલ પંથકમાં દીપડા બાદ સિંહ પરિવારે ધામા નાખ્યા છે. ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામે ગતરાત્રીના એક સાથે ત્રણ સિંહે ધામા નાખ્યા હતા. સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા હોવાનો વિડિઓ સોશયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે એકીસાથે ત્રણ સિંહ પરિવાર દેખા દીધી હતી. ખજૂરી રોડ સીમ વિસ્તારમાં ચકુભાઈ સોનીની વાડીએ ગતરાત્રીના સિંહ પરિવારે રખડતી ભટકતી ગાયનું મારણ કર્યું હતું અને વાડી વિસ્તારમાં એકસાથે ત્રણ સિંહોની લટાર મારતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા વાયરલ થવા પામ્યો હતો. ગોંડલ પંથકમાં સિંહ પરિવારે ધામા નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગોંડલ પંથકમાં સીમ વિસ્તારમાં અવારનવાર સિંહ અને દીપડા આવી ચડતા હોય છે. ત્યારે ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામ પાસે આવેલ સીમ વિસ્તારમાં અમરેલી જિલ્લા માંથી ત્રણ સિંહનો પરિવાર આવી ચડ્યો હતો અને રખડતી ભટકતી ગાયનું મારણ કર્યું હતું અને મારણનું મિજબાની માણી પરત અમરેલી તરફ પાછા વળ્યા હતા.
ગોંડલ પંથક સિંહોનું રહેઠાણ બની રહ્યું હોય તેમ દર વર્ષની સરખામણીએ આ વર્ષે સિંહોના આંટાફેરા વધુ જોવા મળ્યા છે. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઘટના સ્થળે પોહચ્યા હતા અને સ્થળ પર સિંહના પંજાના નિશાન જોવા મળ્યા છે.અને સિંહ પરિવારના સગળ મેળવવા અને તેમનું લોકેશન જાણવા ફોરેસ્ટ વિભાગે તજવીજ હાથ ધરી હતી.