રાજકોટમાં 10 વર્ષના તરુણ અને સફાઈ કામદાર સહિત ત્રણનાં હાર્ટએટેકથી મોત
રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી નાની ઉંમરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે. રાજકોટમાં એક જ દિવસમાં 10 વર્ષના તરૂણને ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. તેમજ મહાનગરપાલિકાના સફાઈ કામદાર અને બાવન વર્ષના પ્રૌઢનું હાર્ટએટેક આવતાં એક જ દિવસમાં હાર્ટએટેકથી ત્રણનાં મોત નિપજ્યા હતાં.
રાજકોટમાં વધતાં જતાં હૃદયરોગના હુમલાના બનાવોથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. છેલ્લા એક વર્ષથી હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ લોકોનાં હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટનાં મવડી પ્લોટ નજીક જીવરાજ પાર્ક પાસે રહેતા અને ધો.5માં અભ્યાસ કરતાં પ્રિયન જીજ્ઞેશભાઈ પોકીયા (ઉ.10) પોતાના ઘર નજીક બાલાજી ગરબા મંડળમાં ગરબાની પ્રેકટીસ કરતો હતો ત્યારે તેને હૃદય રોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રિયનને જન્મથી જ હૃદયમાં કાણુ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં રેલનગર અવધ પાર્ક શેરી નં.4માં રહેતા અને મહાનગરપાલિકાના નિવૃત્ત સફાઈ કર્મચારી નાથાભાઈ ધનાભાઈ વાઘેલા (ઉ.75) પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હોય તેમનું મોત થયું હતું. નાથાભાઈ છેલ્લા ચાર વર્ષથી પેરેલીસીસની બિમારીનો ભોગ બન્યા હતાં.ત્રીજા બનાવમાં રાજકોટનાં નવલનગર 9-11માં રહેતા મુકેશભાઈ બાલુભાઈ દદાલી (ઉ.52) ગઈકાલે બપોરે ઘરે બેભાન થઈ ગયા હતાં. જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.