અમદાવાદમાંથી 15 લાખની નકલી ચલણી નોટ સાથે ત્રણ પરપ્રાંતીયની ધરપકડ
અમદાવાદમાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. 15 લાખ 30 હજારની કિંમતની નકલી ચલણી નોટોમાં 500, 200 અને 100ના દરની નકલી નોટો છે. આ મામલે સીઆઇડી ક્રાઈમે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, જુહાપુરા15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જેમાં સીઆઇડી ક્રાઈમે સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ થઈ છે.
આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતી એવું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ મામલે સીઆઇડીએ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પૂછપરછ દરમિયાન ઘણા નવા ખુલાસો થઇ શકે છે.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સુરતમાંથી પણ આવું જ એક નકલી ચલણી નોટોનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. શહેરનાં લિંબાયત વિસ્તારમાં એક ન્યુઝ ચેનલની આડમાં ફિરોજ શાહ પોતાના સાગરીતો સાથે મળીને નકલી નોટો છાપતો હતો. સુરત એસઓજીએ બાતમીના આધારે ફિરોજ સહિત કુલ 3 ઇસમોની ધરપકડ કરી હતી અને તેની પાસેથી નકલી નોટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આ નકલી નોટના પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 12,26,900ની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી.