જૂનાગઢમાં ફરી હોનારતનો ખતરો: ધારાસભ્યની લાલબત્તી
પ્રિ-મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ, નરસિંહ મહેતા તળાવનો પાળો નહીં બંધાય તો રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જશે: મુખ્યમંત્રીને પત્ર લખતા સંજય કોરડિયા
જૂનાગઢ શહેરમાં ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે સર્જાયેલ હોનારત બાદ સરકારી તંત્ર દ્વારા નદી ઉપર બંધાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સહિતના હાકલા-પડકારા અને વાયદા કરવામા આવ્યા હતાં. પરંતુ બીજું ચોમાસું નજીક આવી ગયું હોવા છતાં હજુ સુધી નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ઝડપ નહીં આવતા સ્થાનિક ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભૂતકાળની યાદ અપાવી ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પત્રમાં લખ્યું છે કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કુત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ વર્ષે આ બાબતનું પુનરાવર્તન ના થાય એ બાબતની તકેદારી કે કોઈ પ્રી-પ્લાનિંગ મહાનગરપાલિકા દ્વારા કે કોન્ટ્રેકટર દ્વારા કરવામાં આવ્યું નથી. જળસંગ્રહ એ પાણીની સમસ્યા હલ કરવા માટે ઝાંઝરડા રોડ જોષીપરા તેમજ આસપાસની સોસાયટીઓમાં મુખ્ય જરૂૂરત હોઈ, જે બાબતને ધ્યાનમાં લઈ આ કામગીરી મોન્સૂન પહેલાં પૂર્ણ થવી જોઈએ. હાલ કામની મુદત પણ પૂર્ણ થયેલી છે, પરંતુ કામ પૂર્ણ થયું નથી.
ધારાસભ્યએ લખ્યું છે કે હવે ચોમાસાને દોઢ માસ જેવો સમય બાકી છે. હાલની કામની ધીમી ગતિ જોતાં દોઢ માસમાં કામ પૂર થાય એવું લાગતું નથી. ફરીથી વરસાદ થશે એટલે ગત વર્ષની જેમ કૃત્રિમ હોનારત સર્જાશે, ત્યાં રહેણાક વિસ્તારમાં નાના માણસો રહે છે, તેમની આર્થિક પરિસ્થિતી સાવ સાધારણ છે . ફરીથી પાછી ત્યાં દીવાલ નબળી હોવાના કારણે સર્જાનારી પરિસ્થિતિની અસર આ લોકોને થશે, એના માટે જવાબદાર કોણ? આ બાબતે મહાનગપાલિકા અને કોન્ટ્રેકરનુ ધ્યાન દોરવા છતાં આ બાબતની ગંભીરતા લેવામાં આવી નથી, કોઈ એકશન લેવાઈ નથી કે આવનારા સમય માટેનો પ્રી-એકશન પ્લાન કરેલો હોય એવું લાગતું નથી.
આ મામલે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવની કામગીરીની સમયમર્યાદા એપ્રિલમાં પૂરી થઈ ગઈ છે. ગયા વર્ષે જે બનાવ બન્યો હતો, જેમાં લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી ઘૂસ્યું હતું ને નરસિંહ મહેતા તળાવનો જે પાળો તેને તોડવામાં આવ્યો હતો એ જગ્યાએ કામ હજી શરૂૂ કરવામાં આવ્યું છે. આ કામ પૂરું નહીં થાય અને ત્યાં દીવાલ બનાવવામાં નહીં આવે તો ફરી પાણી સોસાયટીઓમાં ઘૂસી જશે.
કામ પુરી ગતિથી ચાલુ છે: સ્ટેન્ડિંગ ચેરમેન પરસાણા
જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ મેં નરસિંહ મહેતા તળાવની મુલાકાત લીધી હતી. કોન્ટ્રેક્ટર અને અધિકારીઓ સાથે વાત કરી હતી. અહીં કામ પૂરી ગતિથી ચાલુ છે. પ્રથમ તબક્કાનું કામ આવનારા બે મહિનામાં પૂર્ણ થઇ જશે. આવનારા ચોમાસામાં આ તળાવનું નવીનીકરણ કરીને પાણી ભરવાની સૂચના મેં પણ તંત્રને આપી છે. ધારાસભ્યના આક્ષેપ અંગે હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે તમે તળાવની મુલાકાત નહીં કરી હોય અથવા માહિતીથી વંચિત હશો. પ્રી-મોન્સૂનની કામગીરી ચાલુ છે. આવનારા દિવસોમાં ગયા વર્ષ જેવી સમસ્યા ન સર્જાય એ માટે તંત્ર સજાગ છે.