લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પોલીસ પકડે તે પૂર્વે મહિલાનો આપઘાતનો પ્રયાસ
ડો. હેમાંગ વસાવડાનો ફલેટ પચાવી પાડવાના ચકચારી કિસ્સમાં ધરપકડ સામેનો સ્ટે હાઈકોર્ટે ઉઠાવી લેતા પોલીસ પકડવા પહોંચી, મહિલાએ પેરાસિટામોલની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી
રાજકોટમાં ઢેબર રોડ ખાતે ભકિતનગર સોસાયટીમાં મધુકુંજ નામના મકાનમાં રહેતા કોંગી આગેવાન ડો.હેમાંગ વસાવડા ગઈ માર્ચ 2022માં દીપાલીબેન નિલેશભાઈ જોશી નામના મહિલા વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં સામેલ આરોપી દિપાલીબેન ધરપકડ સામે હાઇકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા અને સ્ટે ઉઠી જતા તાલુકા પોલીસનો સ્ટાફ તેમને પકડવા જતા પેરાસીટેમોલની વધુ પડતી ગોળીઓ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અગાઉ માર્ચ 2022માં ડો.વસાવડાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે,મોટા મોવા ગામ ખાતે સર્વે નંબર 178ના પ્લોટ નંબર 2થી 5 તથા 10થી 14 પર બાંધવામાં આવેલા રૂૂચિ એપાર્ટમેન્ટમાં ડોક્ટર હેમાંગના 2 ફ્લેટ છે.ત્રીજા માળે આવેલા 301 અને 302 નંબરના બંને ફ્લેટની કુલ કિંમત આશરે 32 લાખ રૂૂપિયા જેટલી હતી.દીપાલીબેન જોશીએ આ ફ્લેટ્સમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને રહેણાંક કરીને તેને પચાવી પાડ્યા હતા.આરોપી મહિલાના પતિ નિલેશ જોશી કે જે બોન્ડ રાઈટર હતા અને તેઓએ આ ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો.તેણે બંને ફ્લેટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને ફ્લેટ બતાવવામાં આવ્યો હતો.ત્યારબાદ તેણે પત્ની વગેરેને ફ્લેટ બતાવવા માટે ચાવી માગી હતી.
જે અપાયા બાદ તેમાં તેણે રહેવાનું શરૂૂ કરી દીધું હતું.આ પછી તેમણે ફ્લેટની ચાવી મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ નિવડયા હતા.એકાદ વખત નિલેશ જોશીએ પોતે ફ્લેટ લઈ લેશે તેમ કહી સાટાખત કરી દેવાની વાત પણ કરી હતી.પરંતુ પછી ચેક આપ્યો ન હતો.આ દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો.આ પછી ફ્લેટનો તેની પત્ની દિપાલીબેને કબજો છોડયો ન હતો.
પરંતુ ન્યાય નહીં મળતા આખરે 2021ના સપ્ટેમ્બર માસમાં કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી.બાદમાં તાલુકા પોલીસે દિપાલીબેન સામે ગુનો દાખલ કર્યો હતો.આ મામલે ગઈકાલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દીપાલીબેન જોશીને નિવેદન માટે લેવા ગયા ત્યારે દીપાલીબેને કોર્ટ કાર્યવાહીથી બચવા માટે વધુ પડતી પેરાસીટેમોલની ગોળીઓ પી લેતા તેઓની તબિયત લથડી હતી અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ બે મહિલા પોલીસને પણ ત્યાં બંદોબસ્ત પર રાખવામાં આવી હતી.આ મામલે પીઆઇ હરિપરાએ જણાવ્યું હતું કે તેઓ વિરુદ્ધ નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં નિવેદન લેવા માટે મહિલાને લેવા ગયા ત્યારે આ ઘટના બની હતી.દિપાલીબેનના માસી મિતલબેન કારેલીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,આ ફ્લેટ મામલે થયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ દીપાલીબેને એડવોકેટ મારફત હાઇકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે લઈ આવ્યા હતા અને બાદમાં આ સ્ટે ઉઠી જતા પોલીસ ધરપકડ કરવા દિપાલીબેનની ધરપકડ કરવા આવી હતી અને તેઓએ આ પગલું ભરી લીધું હતું.
ડો.વસાવડાના ત્રાસથી મહિલાના પતિ નિલેશ જોશીના આપઘાત મામલે કોર્ટમાં ફરિયાદ થઈ હતી
બહુચર્ચિત પંડ્યા હાઉસ પ્રકરણ સાથે જોડાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જમીન મકાનના ધંધાર્થી નિલેશ શુભશંકર જોશીએ 29 ઓક્ટોબર 2015ના રોજ ફ્લેટમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું.બનાવના ચાર વર્ષ બાદ મૃતક યુવકના પત્ની દીપાલીબેને ઓક્ટોમ્બર 2019માં કોંગ્રેસનાં નેતા ડો.હેમાંગ વસાવડા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.તેઓએ ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,પતિ નિલેશભાઈને ફ્લેટ ખાલી કરવાની ધમકી આપી હતી.ધમકીના કારણે તેઓએ આપઘાત કર્યો હોવાનાં આરોપો ડો.વસાવડા સામે થયા હતા.