પરિણીતાનો આર્થિક સંકડામણ તેમજ પુત્રીના લગ્નની ચિંતામાં ગળાફાંસો ખાઈ આપઘાત
લાલપુરમાં રહેતી એક પરણીતા એ આર્થિક સંકળામણના કારણે તેમજ પોતાની પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેણીના લગ્નની ચિંતામાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી છે. લાલપુરમાં શિવાજી નગરમાં રહેતી મીનાબેન હીરાભાઈ પારીયા નામની 43 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર બાથરૂૂમમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ હીરાભાઈ માલાભાઈ પારિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ એમ. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મીનાબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ માં જાહેર કરાયા અનુસાર મીનાબેનના પતિ હીરાભાઈ પોતે કડિયા કામની મજૂરી કરતા હતા, અને તેનો કામ ધંધો હાલમાં બરોબર ચાલતો ન હોવાના કારણે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. મીનાબેન ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જે પૈકી મોટી પુત્રીની ઉંમર લગ્નને લાયક થઈ ગઈ હોવાથી તેણીના લગ્નના ખર્ચની ચિંતામાં મીનાબેને આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જણાવાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.