નશીલા પદાર્થ, ગાંજાનો જથ્થો ઘુસાડવાનું નેટવર્ક એસ.ઓ.જી.ની ટીમે પકડ્યું
2 કિલો 800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: બે રીસીવરની શોધખોળ
પાલનપુરથી જામનગરમાં નશીલાપદાર્થ ગાંજાનો જથ્થો ઘુસાડવા માટેનું નેટવર્ક એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડ્યું છે, અને પાલનપુર થી ગાંજો લઈને જામનગરમાં પ્રવેશેલા એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે ઉપરોક્ત નશીલો પદાર્થ રિસીવ કરનારા જામનગરના બે શખ્સોને ફરારી જાહેર કરી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.
આદરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી.શાખાના પી.આઈ. બી. એન. ચૌધરી અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે પાલનપુર તરફથી નશીલો પદાર્થ ગાંજો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમી ના આધારે જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.
જે વોચ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં અને એક કોથળા સાથે મળી આવતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે વ્યક્તિના હાથમાં રહેલા કોથળામાંથી બે કિલો અને 800 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત તે વ્યક્તિનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મનોજ હરિસિંગ કોળી અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બ) અને 29 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ગાંજો નો જથ્થો જામનગરના કિશન હરિસિંહ કોળી અને રાજાભાઈ કોળી નામના બે શખ્સોએ મંગાવ્યો હોવાનું અને તે બંનેના મોબાઈલ નંબર પણ આપ્યા હતા. જે બંને શખ્સને પોલીસે ફરારી જાહેર કરી તેઓના મોબાઈલ નંબરના આધારે શોધખોળ શરૂૂ કરી છે.