મહેશ્ર્વરી સોસાયટીમાં દિયરના ડખ્ખામાં વચ્ચે પડેલી ભાભીને સાસુ સહિતનાએ માર માર્યો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતા દેવપરા નજીક આવેલી મહેશ્વરી સોસાયટીમાં રહેતા દિયરના ઝઘડામાં સમજાવવા માટે ગઈ હતી ત્યારે સાસુ અને જેઠ સહિતનાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી મીરાબેન મયુરગીરી ગોસ્વામી નામની 44 વર્ષની મહિલા દેવપરા નજીક આવેલી મહેશ્વરી સોસાયટીમાં પોતાના દિયર અને સાસુના ઘરે હતી ત્યારે સાસુ શકુંતલાબેન, જેઠ સુનિલ, વિશ્વાસ અને ગિરીશ સહિતના શખ્સોએ ઝઘડો કરી મીરાબેન ગોસ્વામીને ઢીકા-પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મીરાબેન ગોસ્વામીના દીયર જયપાલગીરીને તેની માતા સંકુતલાબેન સહિતના પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો જે ઝઘડામાં મીરાબેન ગોસ્વામી દિયર અને સાસુ સહિતના પરિવારને સમજાવવા માટે ગઈ હતી ત્યારે સાસુ અને જેઠ સહિતનાએ મીરાબેન ગોસ્વામીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગંજીવાડામાં આવેલા મહાકાળી ચોકમાં રહેતા હરજી ઉર્ફે નિર્મલ વિનુભાઈ ગોહિલ નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં સુનીલ ધીરુ અને ધીરુ ચના સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.