ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ કરતા ખાનગી શાળાના લોગાવાળા સ્વેટરના ભાવ
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને શાળાના લોગો વાળા જ ગરમ સ્વેટર પહેરવાના આદેશ છોડવામાં આવ્યા છે. અને આ સ્વેટર પણ ચોક્કસ સ્ટોર ઉપરથીજ મળતા હોય છે. ત્યારે તેના ભાવ પણ મનમાની પૂર્વક અને દાદાગીરીથી લેવાતા હોય તેવા કડવા અનુભવ વાલીઓને થઈ રહ્યા છે. ચોક્કસ સ્ટોરમાં શાળાના લોગોવાળા અનેલોગો વગરના સ્વેટરના ભાવ વાલી અને બાળકોને પરસેવો પાડી દે તેવા હોવાની રાવ ઉઠી છે.
વાલીઓના જણાવ્યા મુજબ ખાનગી સાળા સંચાલકો દ્વારા જાણે ચોક્કસ સ્ટોરના માલિકો સાથે સાંઠગાઠ હોય તેવી રીતેના ઘાટ સર્જાયા છે. જેમાં અમુક સ્કૂલના સ્વેટર બીજા અન્ય સ્ટોરમાં મળતા નથી અને અન્ય કોઈ સ્ટોરમાંથી સ્વેટર ખરીદવામાં આવે તો તેમાં ખામીઓ કાઢવામાં આવે છે અને ના છુટકે વાલીઓને શાળા દ્વારા નક્કી કરેલા ચોક્કસ સ્ટોરમાંથી જ સ્વેટરની ખરીદી કરવી પડી રહી છે. અને ક્યારેક બાળક સ્વેટર પહેરીને ન જાય તો તેને શસાળા દ્વારા અમુક સજા કરવામાં આવે છે.
વાલીઓના જણાવ્યા મુજબ શાળાઓમાં બીજા સત્રની શરૂઆત થતા જ અને શિયાળાની શરૂઆત થતા જ શાળાઓ દ્વારા વાલીઓને ગરમ સ્વેટર માટે ચોક્કસ સ્ટોરના નામ સાથે એડ્રેસ પણ આપવામાં આવી રહ્યા છે. રાજકોટના મુંજકા નજીક અને શહેરની ભાગોળે આવેલી ખાસ મિસનરી શાળા દ્વારા વાલીઓને મેસેજ કરવામા આવ્યો છે. જેમાં શાળાના લોગોવાળા અને નક્કી કરેલા ગરમ સ્વેટર મળતા હોય તેના નામ અને એડ્રેસ જણાવવામાં આવ્યા છે. જેમાં તે શાળાના લોગો વાળા સ્વેટર મળી રહે.
આ અંગે કોંગ્રેસના પ્રવકતા રોહિત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સ્કૂલ મેનેજમેન્ટ સ્વેટર અને જેકેટ ચોક્કસ સ્ટોર પરથી ખરીદવાનો આગ્રહ કરે છે. અને આ જેકેટ, સ્વેટરનો ભાવ રૂા. 500થી રૂા. 1500 સુધીના હોય છે. રોહિતસિંહે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, મોટાભાગની સ્કૂલોની આવા સ્ટોર સંચાલકો સાથે મીલીભગત હોય અને સ્વેટર, જેકેટદીઠ કમિશન મળતું હોવાથી પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને કળકડતી ઠંડીનો ભોગ બનાવે તે શરમજનક છે. રાજકોટની સેન્ટ મેરી, એસએનકે, મોદી, ધોળકિયા, સેન્ટ એવિયર્સ સહિત અનેક સ્કૂલમાં આવા ુરાગ્રહ કરવામા આવે છે.
વધુમાં જણાવ્યું હતું કે, શાળાઓ દ્વારા દબાણ કરાતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે અમે પરિપત્ર કરી દીધો છે રાજપૂતે જણાવ્યું કે આ પરિપત્રમાં ચોક્કસ કલર કે ડિઝાઈનનાગરમવસ્ત્રો પહેરવા સ્કૂલો દબાણ નહીં કરવા સ્પષ્ટીકરણ નથી તેથી હજુ વાલીઓ અંસમજતા મુકાયા છે. જેથીસ્પષ્ટીકરણ કરી નવો સુધારો કરી પરીપત્ર જાહેર કરવો જોઈએ અને જો શાળાઓ દ્વારા શાળાના જ સ્વેટર પહેરવા કે ચોક્કસ સ્ટોર પરથી ખરીદવા માટે દબાણ કરશે અને વાલીઓની ફરિયાદ મળશે તો સ્કૂલ પર હલ્લાબોલ કરવામા આવશે.
વાલીઓની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરશું : ઈન્ચાર્જ ડીઈઓ
ચોક્કસ પ્રકારના સ્ટોર પરથી શાળાના લોગો વાળા સ્વેટર કે જેકિટ ખરીદવા માટે શાળાઓ દ્વારા જો દબાણ કરવામા આવતું હોય તેવી વાલીઓ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તો રાજકોટ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામા આવશે. તેમ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીના ઈન્ચાર્જમાં રહેલા નમ્રતાબેન મહેતાએ ખાતરી આપી હતી.