દિવાળી પહેલાં જાહેર થશે નવી જંત્રી
બિલ્ડરોના વિરોધ વચ્ચે ઓક્ટોબરથી નવી જંત્રી લાગુ કરવા તૈયારી
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જંત્રીના દરોને વધુ વ્યાવહારિક અને તર્કસંગત બનાવવાની કવાયત પૂર્ણ કરી છે અને આ નવા દરો દિવાળી પહેલાં લાગુ પણ થઇ જાય એવી શક્યતા જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત વર્ષે 15 એપ્રિલથી મહિનામાં જ જંત્રીના દર ડબલ કરી નાંખ્યા હતા જેનો રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફથી ભારે વિરોધ થયો હતો, કેમ કે આ ઉદ્યોગના અગ્રણીઓના કહેવા મુજબ જંત્રીના દર તદ્દન બિનતાર્કિક છે.
નવી જંત્રીના દરોનો અમલ ક્યારથી શરૂૂ થશે તે અંગે કંઇ પણ કહેવા મહેસૂલ વિભાગના અધિકારીઓએ હોઠ સીવી લીધા છે, પરંતુ મહેસૂલ વિભાગના ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ કહ્યું હતું કે આગામી ઓક્ટોબર મહિનામાં નવા દર જાહેર થઇ જવાની શક્યતા છે. ગત વર્ષે એપ્રિલમાં જંત્રીના દર આડેધડ રીતે વધારીને બે ઘણા કરી નાંખ્યા હતા જેના પગલે હવે સરકારે આ દરોને વધુ તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે.
પહેલાં સરકાર જાહેર પ્રજાની જાણકારી માટે નવા દર જાહેર કરશે અને ત્યારબાદ તેઓના વાંધા-વિરોધ અને સૂચનો માટે તેઓને એક મહિનાનો સમય આપવામાં આવશે, ત્યારબાદ જ નવા દરો અમલમાં આવશે એમ સૂત્રોએ કહ્યું હતું. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શહેરોની જંત્રીના દરોનો અભ્યાસ કરવા રાજ્ય સ્તરે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયત દરમ્યાન જાણવા મળ્યું હતું કે અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં આ દરોમાં વધુ પ્રમાણમાં ક્ષતિઓ અને ત્રુટિઓ રહી ગઇ હતી. બી અને સી કેટેગરી હેઠળ ઘણી જગ્યાએ તો વિસ્તાર ખુબ સારી રીતે વિકાસ પામ્યો હોવા છતાં જંત્રીના દરો ઘણા ઓછા હતા, જ્યારે ઘણી જગ્યાએ વિસ્તાર સહેજપણ વિકાસ પામ્યો ના હોવા છતાં જંત્રીના દરો ઘણા ઉંચા હતા.
આ જંત્રીના દરોમાં અમદાવાદમાં પ્રવર્તમાન હાલના દરોમાં મોટો ફેરફાર આવી શકે તેમ છે, ત્યારબાદ સુરતના દરોમાં પણ ફેરફાર થઇ શકે છે. અમદાવાદમાં શીલજ, બોપલ અને સિંધુભવન રોડ જેવા વિકસીત વિસ્તારોની સરખામણીએ પાલડી, આંબાવાડી, સેટેલાઇટ અ તેની આસપાસના વિસ્તારોમાં જંત્રીના દરો ઘણા ઉંચા છે. આ ત્રુટી અને ખામીને દૂર કરવામાં આવશે અને શહેરના ઘણા વિસ્તારો માટે નવા વધુ તર્કસંગત દરો અમલમાં આવશે એમ સૂત્રોએ કહ્યું હતું. બીજી બાજુ સુરતમાં જંત્રીના દરોમાં તોતિંગ વધારો ઝીંકાઇ શકે છે, કેમ કે શહેરના નવા વિકાસ પામેલાં વિસ્તારોમાં મકાનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે જંત્રીના દરો ખુબ ઓછા છે.