ધ્રાંગધ્રામાં જમાઇને એટેક આવ્યાના સમાચાર મળતા સાસુનું હૃદય બેસી ગયું, બન્નેના મોત
રાજ્યમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રામાં સાસુ-જમાઇના હાર્ટ એટેકથી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાર્ટ-એટેક આવતા જમાઇનું મોત થયું હોવાના સમાચાર જેવા સાસુને મળ્યા કે તેઓનું પણ હૃદય બેસી ગયું હતું. આમ બકરી ઇદના દિવસે એક જ પરિવારના બે સભ્યોના હાર્ટ-એટેકથી મોત થતાં બકરી ઇદની ખુશી માતમમાં ફેરવાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 10થી વધુ લોકોના હાર્ટ-એટેકના કારણે મોત થયા હોવાનો અંદાજ છે. ત્યારે ધ્રાંગધ્રાના ફૂલગલી વિસ્તારમાં આજે વહેલી સવારે સાસુ-જમાઈના હાર્ટ-એટેકથી મોત નીપજ્યા છે. ધાંગધ્રા શહેર ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમભાઇને વહેલી સવારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા ખાનગી વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી. જેમાં સારવાર દરમિયાન જેસડિયા ઇસાકભાઈ ઇબ્રાહીમભાઇનું મોત નીપજ્યું હતું.હોસ્પિટમાં જમાઈનું મોત થયું હોવાના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમાં હોસ્પિટલ ખાતે ખસેડાતા હાજર તબીબ દ્વારા સારવાર અપાતા મોત નીપજ્યું હતું. ત્યારે આજે બકરી ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં બે મોત થતા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો.