પ્યાર પ્યાર ન રહા… પ્રેમીએ ભગાડી જઇ પ્રેમિકાને ઝેર પીવડાવી તરછોડી દીધી
ચોટીલાના રાજાવડલાનો શખ્સ સૂરજદેવળની સગીરાને ત્રણ દિવસ પૂર્વે ભગાડી ગયો’તો; સગીરા બેશુદ્ધ હાલતમાં મળતા સારવારમાં ખસેડાઇ
પવિત્ર પ્રેમમાં અનેક વખત સાચા પ્રેમીઓને બેવફાઈનો સામનો કરવો પડે છે તેવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચોટીલાના સુરજદેવળ ગામની સગીરાને રાજાવડલા ગામનો યુવાન ભગાડી ગયા બાદ મઘરીખડા ગામે તળાવના કાંઠે ઝેરી પ્રવાહી પીવડાવી તરછોડી દીધી હતી. સગીરાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના સુરજ દેવળ ગામે રહેતી ગીતાબેન પ્રવીણભાઈ મેતરીયા નામની 17 વર્ષની સગીરા ગત તા.5 ના રોજ મઘરીખડા ગામે તળાવના કાંઠે હતી ત્યારે દિલીપ વાઘેલા નામના શખ્સે ઝેરી દવા પીવડાવી દીધી હોવાના આક્ષેપ સાથે સગીરાને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ ઘટના અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ગીતાબેન અને રાજા વડલા ગામના દિલીપ વાઘેલાને આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને ત્રણ દિવસ પૂર્વે જ દિલીપ વાઘેલા ગીતાબેનને ભગાડી ગયો હતો બાદમાં મઘરીખડા ગામે તળાવના કાંઠે દિલીપ વાઘેલાએ ગીતાબેનને ઝેરી પાવડર પીવડાવી દિલીપ વાઘેલા નાસી છૂટ્યો હતો. પરિવાર પુત્રીની શોધખોળ કરતો હતો તે દરમિયાન ગીતાબેન મેતરીયા બેશુદ્ધ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.