ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્ય શોધક ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશનર, ફાયર સુપરિ.સહિતના અધિકારીઓના નિવેદનો લીધા
રાજકોટના નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 9 બાળકો સહિત 27 વ્યક્તિઓ બળીને ભળથુ થઈ ગયા હતાં. આ અગ્નિકાંડમાં મહાનગરપાલિકા અને પોલીસ અધિકારીઓની સીધી સંડોવણી હોવાના પુરાવા મળ્યા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના હાઈકોર્ટના હુકમથી સત્ય શોધક ટીમની રચના કરી ત્રણ સુપર આઈ.એ.એસ. અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને આ સત્યશોધક ટીમે રાજકોટમાં ધામા નાખી અગ્નિકાંડમાં સંડોવાયેલા અધિકારીઓની ખાતાકીય તપાસ શરૂ કરી છે.
રાજકોટનાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગે રાજ્ય સરકારની તેમજ પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાની પોલ છતી કરી દીધી છે. આ અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ સીટની રચના કરી હતી. બીજી બાજુ રાજકોટ પોલીસ કમિશ્નરે પણ તપાસ માટે અલગથી સીટની રચના કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે અગ્નિકાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ માટે સીઆઈડી ક્રાઈમની પણ અલગથી ટીમ બનાવી હતી. આ તમામ ટીમો દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે.
ટીઆરપી અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં અહેવાલો રજુ થયા બાદ હાઈકોર્ટના આદેશથી રાજ્ય સરકારે ફરી એક વખત સત્ય શોધક ટીમની રચના કરી છે. જેમાં સિનિયર આઈએએસ અધિકારી અશ્ર્વિનીકુમારને કમીટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેની સાથે આઈએએસ રાજકુમાર બેનીવાલ અને આઈએએસ અધિકારી મનિષા ચંદ્રાની નિયુકતી કરવામાં આવી છે. સત્ય શોધક ટીમ ગઈકાલે જ રાજકોટ આવી પહોંચી હતી અને કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોષી, પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, મ્યુનિ.કમિશ્નર દેસાઈ, ચીફ ફાયર ઓફિસર, ટાઉન પ્લાનીંગ ઓફિસ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ટીઆરપી ગેમઝોન અંગેનો અહેવાલ મેળવ્યો હતો. સત્ય શોધક ટીમ દ્વારા ટીઆરપી ગેમઝોનમાં સંડોવાયેલા કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની ખાતાકીય તપાસ શરૂ કરી છે અને નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અહેવાલ 4 જુલાઈના રોજ હાઈકોર્ટને સુપ્રત કરશે તેમ કમિટીના અધ્યક્ષ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું.