જૂનાગઢ શ્રી ધામના વિજય પ્રકાશદાસ સ્વામી પર હુમલો કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ
થોડા દિવસો પહેલા શ્રીધામ સંસ્થાના વિજય પ્રકાશદાસ સ્વામી પર કેટલાક શખ્સો દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલો કરનાર પાંચ આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. વિજય પ્રકાશદાસ સ્વામી પર સંસ્થામાં ધસી આવી ઓફિસમાં ચારથી પાંચ શખ્સો દ્વારા હુમલો કર્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ત્યારબાદ ઝાલણસર શ્રીધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશદાસે છ શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા દહેગામ નજીકની જમીન મામલે છ શખ્સોએ સ્વામી વિજય પ્રકાશદાસ ને ભૂંડી ગાળો કાઢી તેની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર જય મોલીયા,જસ્મીન માઢક, પ્રકાશ વાઘ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરને તાલુકા પોલીસે ઝડપી પાડયા આવ્યા છે. તમામ આરોપીની હાલ તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ ડીએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે, જૂનાગઢના ઝાલણસર શ્રીધામ ગુરુકુળના પ્રમુખ સ્વામી વિજય પ્રકાશદાસ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યાનો તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્વામી વિજય પ્રકાશદાસને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં રાઇટીંગ, જાનથી મારી નાખવાની ધમકી અને 452 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે હુમલો કરનાર તમામ આરોપીઓને તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓની પૂછપરછ કરતા સ્વામીજીએ દેહગામ નજીક જે જમીન માટેનો સોદો કર્યો હતો તે જમીન માર્કેટ કિંમત કરતાં વધારે ભાવે આ દલાલોએ સ્વામીજીને આપી હતી. બાદમાં પકડાયેલા આરોપીઓએ સ્વામીજી સાથે મારકૂટ કરી હતી. તાલુકા પોલીસે શ્રીધામના સ્વામી પર હુમલો કરનાર મુખ્ય આરોપી જય મોલીયા, જસ્મીન માઢક, પ્રકાશ વાઘ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.