તંબુ તાણી કેરીના રસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર ફૂડવિભાગ ત્રાટકયું
ચાસણી અને કેમિકલ મિશ્રિત અખાદ્ય 15 કિલો કેરીના રસનો નાશ કરાવી વેચાણ બંધ કરાવ્યું: શંકર ટેકરી વિસ્તારમાં લેબલ વગરની અઢીસો સોડા બોટલનો જથ્થો જપ્ત કરી યુનિટ બંધ કરાવાયું
જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને એક્ટિવ બની છે, અને આજે બપોરે નીલકમલ સોસાયટી વિસ્તારમાં કેરીના રસના એક વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે વિક્રેતા દ્વારા તંબુ ઉભો કરીને જાહેરમાં કેરીના રસનું વેચાણ કરાઈ રહ્યું હતું.
જ્યાં ચેક કરવામાં આવતાં ચાસણી તથા અન્ય કેમિકલ મિશ્રિત 15 કિલો જેટલો અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો હતો, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને કેરીના રસનું વેચાણ બંધ કરાવી દેવાયું છે. જેના વિક્રેતા રિતિક સોનકરને જરૂૂરી સુચના આપી દેવાઇ છે. આ ઉપરાંત શંકર ટેકરી વિસ્તારમાં લોકલ સોડા બોટલના વિક્રેતા આશિષ નંદાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં એ.પી. બોટલીંગ ના નામથી ઠેરી વાળી સોડા બોટલ તૈયાર કરીને વેચાણ કરવામાં આવતી હતી.
જે સ્થળે ઠેરી વાળી સોડા બોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું લેબલ લગાવ્યા વિના વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરાવી દેવાયું છે, અને અઢીસો બોટલમાં ભરેલી સોડા નો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો છે.