T-20 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને રગદોળી ભારત ફાઇનલમાં
આવતીકાલે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે ટક્કર, ધીમી પીચ ઉપર બેટિંગ- બોલિંગમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન
ટી-20 વર્લ્ડકપમાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે ગતરાત્રે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને રગદોળી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતીકાલે ફાઇનલ મેચમાં ભારતની ટક્કર દક્ષિણ આફ્રીકા સામે થશે. મોટાભાગની વલ્ડર ટુર્નામેન્ટોમાં ચોકર સાબીત થતુ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યુ છે. જયારે ભારત દસકા બાદ ફાઇનલમાં પહોંચ્યુ છે. બન્ને શક્તીશાળી ટીમો વચ્ચે ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 8 વાગ્યે ફાઇનલ મેચ રમાનાર છે.
ગયાનાની ધીમી પીચ ઉપર ભારતે પડકારજનક 171 રનનો સ્કોર ખડકયા બાદ બોલરોએ ઇંગ્લીશ ટીમને 16.4 ઓવરમાં 103 રનમાં તંબુ ભેેગી કરી દીધી હતી. લગભગ બે વર્ષ પહેલા એડિલેડમાં સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને એકતરફી રીતે હરાવી ચૂકેલી રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ એ જ ઈંગ્લેન્ડને એટલી જ ખરાબ રીતે હરાવીને હિસાબ બરાબર કર્યો હતો. ગયાનામાં ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઇનિંગ્સની મદદથી, ભારતે મુશ્કેલ પીચ પર 171 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 103 રનમાં સમેટાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસથી વરસાદના કારણે આ મેચ પણ પાણીમાં ધોવાઈ જશે તેવો ડર હતો અને શરૂૂઆતમાં આવું જ દેખાયું હતું, જ્યારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂૂ થઈ હતી. ત્યારપછી થોડાં સમય માટે ફરી વિરામ જોવા મળ્યો, પરંતુ આ પછી ગયાનાના વાદળો નહીં પરંતુ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર આખે આખી વરસી હતી.
પહેલા કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર વચ્ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની સારી શરૂૂઆત બગાડી દીધી હતી. ત્યાર બાદ અક્ષરે પાવરપ્લેમાં વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડની રમતનો અંત આણ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા 2014 બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.આ વખતે પણ ટીમ ઈન્ડિયાની શરૂૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી ફરી એકવાર જલદીથી આઉટ થઈ ગયો હતો, જ્યારે રિષભ પંત પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ આવું જ કંઈક થયું હતું અને તે જ મેચની જેમ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા (57)એ કમાન સંભાળી હતી, જ્યાં તેને સૂર્યકુમાર યાદવ (47)નો શાનદાર સાથ મળ્યો હતો. રોહિતે જોરદાર બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સૂર્યા સાથે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે મેચમાં સૌથી મોટો તફાવત સાબિત થયો.
આ બંનેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી અને ટીમને 171 રનના શાનદાર સ્કોર સુધી પહોંચાડી હતી. પ્રોવિડન્સ સ્ટેડિયમની ધીમી પીચ પર ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના નિર્ણયથી ટીમ ઈન્ડિયા ખુશ થઈ ગઈ હતી. આટલા મોટા સ્કોરથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.
ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ અને લિયામ લિવિંગસ્ટનની સ્પિન જોડીએ 8 ઓવરમાં માત્ર 49 રન આપ્યા હતા અને ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણ સામે ઈંગ્લેન્ડે વધુ સંઘર્ષ કરવો પડશે તે નક્કી છે. આ વાત સાચી પણ સાબિત થઈ છે. કેપ્ટન જોસ બટલરે (23) ઈંગ્લેન્ડ માટે ઝડપી શરૂૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરના પહેલા જ બોલ પર રિવર્સ સ્વીપ કરવાની અક્ષર પટેલની (3/23) ભૂલ તેને મોંઘી પડી હતી. આમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને રિષભ પંતે આસાન કેચ લીધો. અહીંથી જ ઈંગ્લેન્ડના પતનનો પ્રારંભ થયો હતો.