ભાજપની હારથી હતાશ સમર્થકો હજુ પણ હિંદુ-મુસ્લિમથી આગળ વધતા નથી
લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને મળેલી કારમી પછડાટના કારણે એક તરફ મોદીભક્તો આઘાતમાં છે ને બીજી તરફ મીડિયા પણ આઘાતમાં છે. આંખો મીંચીને ભાજપના ને ખાસ તો નરેન્દ્ર મોદીનાં ગુણગાન ગાયા પછી એ લોકોને એવું જ લાગતું હતું કે, ભાજપને તો સ્પષ્ટ બહુમતી મેળવતાં કોઈ નહીં રોકી શકે.
મોદીભક્તોએ માની જ લીધેલું કે, આ વખતે તો ભાજપ 400 બેઠકોનો આંકડો પાર કરીને જ જંપશે. તેમનાં કમનસીબે આખો દેશ તેમના જેવું વિચારતો નથી એટલે ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી. મુસ્લિમ લીગથી મંગળસૂત્ર સુધીની વાતો કરીને મુસ્લિમોનો ડર બતાવ્યા પછી પણ ભાજપ 240 બેઠકોથી આગળ ના વધી શક્યો.
મોદીને સ્પષ્ટ બહુમતી નથી મળી એટલે હવે હિંદુઓનું આવી બનશે ને મુસ્લિમો હિંદુઓને પતાવી દેશે એવી વાતોનો મારો શરૂૂ થઈ ગયો છે. મુસલમાનો હિંદુઓની સ્ત્રીઓને ઉઠાવી જશે ને હિંદુઓની સંપત્તિને લૂંટી લેશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. એક લખોટાએ તો એવો ઓડિયો બનાવીને મૂક્યો છે કે, 200 વર્ષ પછી આ દેશમાં એક પણ હિંદુ નહીં બચ્યો હોય ને બધા મુસલમાનો જ હશે. હિંદુઓ હંમેશાં ગટરમાં જ રહેવાના છે ને ભગવાન રામ પ્રાઈમ મિનિસ્ટર બને તો પણ ગટરમાં જ રહેવાના છે.
અયોધ્યા લોકસભા બેઠક પર ભાજપના લલ્લુસિંહ હારી ગયા તેનો ખરખરો બીજાં પણ ઘણાંએ કર્યો છે. સોનુ નિગમ અને અનુપમ ખેર જેવી સેલિબ્રિટીઝ પણ આ ખરખરો કરવામાં જોડાઈ છે. ભાજપને બહુમતી ના મળી તેનો વસવસો કરતી ને હિંદુઓને માયકાંગલા, નબળા ને બીજી ગાળો આપતી સેકંડો પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરી રહી છે.
નરેન્દ્ર મોદીની ઉંમર 75 વર્ષની છે ને હિંદુત્વનો નોંધાયેલો ઈતિહાસ જ પાંચ હજાર વર્ષનો છે. મોદી તો હમણાં આવ્યા પણ એ પહેલાં ભયંકર આક્રમણો સામે પણ હિંદુ ટકી ગયા કેમ કે હિંદુ ધર્મ મોદી જ નહીં પણ બીજા કોઈનો ઓશિયાળો નથી. હિંદુઓમાં પોતાની આસ્થાને ટકાવવાની તાકાત છે ને હંમેશાં રહેશે. આ કારણે જ હિંદુ ધર્મ. સનાતન છે, એ સદીઓથી ટકેલો છે ને ટકવાનો છે. રાજાઓ આવ્યા ને ગયા ને નેતાઓ પણ જતા રહેશે, હિંદુત્વ સનાતન છે અને સનાતન રહેશે.