અંધશ્રદ્ધાએ વધુ એક ભોગ લીધો : ભૂવાએ ડામ દીધા બાદ 3 માસની બાળકીનું મોત
આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાનો કહેર જોવા મળતો રહે છે. શ્રદ્ધામાં રહેલો માણસ ક્યારેક અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે. તે તેને પણ જાણ હોતી નથી. આવુ જ કંઈક સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પરિવાર સાથે થયું છે. આ પરિવાર બાળકી બીમાર પડતા શ્રદ્ધા સાથે ભુવા પાસે ગયેલ પણ ભુવાએ માસૂમના શરીર પર અગરબત્તીના ડામ આપ્યા હતા. માસુમ બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
સુરેન્દ્રનગરમાં આવેલા જોરાવરનગરમાં રહેતો પરિવાર ખેત મજૂરી કરે છે. અહીં એક ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાળકીનો પરિવાર માતાજી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. અહીં ઝૂંપડપટ્ટીમાં એક ભુવા હોય તેના સંપર્કમાં પણ આ પરિવાર રહેતો હતો. દરમિયાન બાળકી બીમાર પડી હતી. તાવ, શરદી રહેતા હતા. પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હશે. પણ પરિવારને શું સુજ્યું કે, 3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા અહીં ભુવાને હવાલે બાળકીને કરી દીધી. ભુવાએ માસૂમ પર દયા ખાધા વગર અગરબત્તીના ડામ આપ્યા હતા. પ્રથમ દિવસ જતો રહ્યો પણ બીજા દિવસે બાળકીની તબિયત વધુ ખરાબ થઈ. તેને પ્રથમ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી ડોકટરોએ તપાસતા બાળકીના શરીરે ડામના નિશાન હોય, તબિયત વધુ લથડતી હોય તેવું જણાતા ડોકટરે રાજકોટ રીફર કરવાની સલાહ આપતા, તત્કાલ એમ્બ્યુલન્સ મારફત માસૂમ બાળાને રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવેલ. અહીં ફરજ પરના ડોકટર સ્થિતિ સમજી ગયા અને બાળકીને તત્કાલ સારવારમાં ખસેડી હતી.
ઝનાના હોસ્પિટલના બાળ નિષ્ણાંત ડોકટરે બાળકીની સારવાર શરૂૂ કરવા સાથે સાથે અહીંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એમએલસી દાખલ કરાવી પોલીસને સત્તાવાર વિગતો આપી હતી. રાજકોટ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી ત્રણ માસની બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં માસૂમ બાળકી એક ભાઈ એક બહેનમાં નાની છે. તેના પિતાને પણ ગંભીર બીમારી છે. બાળકી પણ થોડા સમયથી બીમાર હોય, પિતાની બીમારીની અસર થઈ હોય તેવું પરિવારને લાગતા દવા સાથે દુવા પણ કામ લાગે તેવી આશા સાથે ભુવા પાસે ગયા હતા. પણ ભુવાએ માસૂમના શરીર પર અગરબતીના ડામ દેતા તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી. અને અંતે બાળાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.