દાવ લીધો: સ્કૂલોએ યોગામાં બાળકોને મોકલ્યા જ નહીં
મહાનગરપાલિકા દ્વારા કોઈપણ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે ત્યારે માણસો બતાવવા માટે શહેરની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા બાળકોને ફરજિયાત આમંત્રીત કરવામા આવતા હોય છે. જેમાં આજે પણ વિશ્ર્વયોગ દિવસ નિમિતે મનપાએ પાંચ સ્થળે યોગા ઈવેન્ટનું આયોજન કરેલ જેમાં સંખ્યા બતાવવા માટે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને મોકલવાનું આમંત્રણ પાઠવેલ પરંતુ તાજેતરમાં ફાયર એજન્સી મુદ્દે શાળા સંચાલકોને કડવો અનુભવ થયો હોય મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓને ઈવેન્ટમાં ન મોકલી દાવ લીધો છે. તેવી ચર્ચાએ જોર પકડડ્યું હતું અને ઈવેન્ટમાં પણ પાંખી હાજરી હોવાનું અમુક વિભાગના અધિકારીઓએ પણ કબુલ્યું હતું. વિશ્ર્વ યોગ દિવસ નિમિતે આજે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાંચ સ્થળે યોગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં શહેરીજનો સ્વેચ્છાએ જોડાય તેવી અગાઉ અપીલ કરવામાં આવેલ પરંતુ નિયમ અનુસાર મનપાએ તમામ શાળા અને કોલેજના સંચાલકોને પણ આમંત્રણ પાઠવી તેમની શાળાના વિદ્યાર્થીઓને આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે જણાવ્યું હતું. ઈવેન્ટ ચાલુ થયા બાદ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતા તપાસ કરતા માલુમ પડેલ કે, તાજેતરમાં અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે શાળાઓ સીલ કરવાની કામગીરી મનપાએ હાથ ધરેલ અને શાળા સંચાલકોએ પણ અનેક વખત સીલ ખોલવા માટે કોર્પોરેશનને આજીજી કરી હતી.
અંતે સરકારની મધ્યસ્થિ બાદ અમુક શાળાઓના સીલ ખોલવામાં આવ્યા છે. પરંતુ આ સમયને શાળા સંચાલકો ભૂલ્યા ન હોય તેમ આજે બદલો લીધો હોય તેવી રીતે કોર્પોરેશનનું આમંત્રણ હોવા છથાં મન મનાવવા પુરતા અ મુક વિદ્યાર્થીઓને ઈવેન્ટમાં મોકલી બદલો લીધો હોય તેવો ઘાટ ઘડાયો હતો. તેની સામે યોગા ઈવેન્ટમાં હાજર રહેલા તેમજ જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની પાસેથી પણ સાંભળવા મળ્યું હતું કે, આજે દરેક સ્થળે યોગા ઈવેન્ટમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. આમ સ્કૂલ સંચાલકોએ ફાયર એનઓસીના મુદ્દે જે હેરાનગતિ થઈ હતી તેનો બદલો આજે લઈ લીધો હતો.