ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા હવે યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફીમાં રમશે
ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ અને આગામી ટી-20 શ્રેણીમાં સ્થાન ન મળવાને કારણે યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે મોટો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ત્રણેય ઓડીઆઇ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં અને ટી-20 ટીમમાં પણ પસંદગી ન થતાં, જયસ્વાલ હવે ભારત પરત ફર્યા છે અને સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફી રમવા માટે તૈયાર છે.
અહેવાલ મુજબ, જયસ્વાલે 42 વખતની ચેમ્પિયન મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડ માં ટીમ માટે રમશે. તેમનું ધ્યાન હવે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા પર છે, જ્યાં તે નિયમિતપણે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાની બંને લિમિટેડ ઓવરની શ્રેણીમાં અવગણના થયા બાદ યશસ્વી જયસ્વાલે મોટો નિર્ણય લીધો છે અને હવે તે સ્થાનિક ક્રિકેટમાં પોતાના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જયસ્વાલ હવે રણજી ટ્રોફી માં મુંબઈ તરફથી રમશે. મુંબઈની ટીમ ભારતીય ઘરેલું ક્રિકેટમાં સૌથી સફળ ટીમ છે, જે અત્યાર સુધીમાં 42 વખત રણજી ટ્રોફી જીતી ચૂકી છે. તે રાજસ્થાન સામેની મેચમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળી શકે છે.
યશસ્વી જયસ્વાલ નિયમિતપણે ભારતની ટેસ્ટ ટીમ સાથે સંકળાયેલા છે અને ટેસ્ટ મેચોમાં તેમણે ટીમ માટે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી સમાપ્ત થયા બાદ ભારત દક્ષિણ આફ્રિકા સામેની મહત્ત્વની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. આશા છે કે જયસ્વાલ રણજી ટ્રોફીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકા સામેની આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયામાં શક્તિશાળી વાપસી કરી શકે છે.
