યશસ્વી જયસ્વાલનો મુંબઇ રણજી ટ્રોફીમાં સમાવેશ, સોમવારે મેચ
ચેમ્પિયન ટ્રોફીની ટીમમાંથી યશસ્વી જયસ્વાલને બહાર કરી દેવામાં આવ્યો છે પરંતુ આ ખેલાડી હવે મુંબઈની ટીમમાં સામેલ થયો છે. યશસ્વી જ્યસ્વાલ રણજી ટ્રોફીની સેમિફાઈનલ વિદર્ભ વિરુદ્ધ રમતો જોવા મળશે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને મુંબઈની રણજી ટીમમાં ફરી એક વખત સામેલ કરવામાં આવ્યો છે. આ ડાબોડી ઓપનર ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં મુંબઈની મેચ વિદર્ભ સાથે રમાશે. આ મેચ 17 ફેબ્રુઆરીથી શરુ થશે. યશસ્વી જયસ્વાલ ટીમમાં આવતા જ મુંબઈની ટીમને મજબુતી મળી છે.
યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયાએ પહેલા ચેમ્પિયન ટ્રોફી માટે પસંદ કર્યો હતો પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ચોંકાવનારો નિર્ણય લીધો હતો. યશસ્વીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની પહેલી મેચમાં તક આપી હતી પરંતુ તે પછી તેને ન તો પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું અને ન તો તે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં રહી શક્યો.
યશસ્વીને બહાર કરીને, ભારતીય ટીમે બીજા સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપ્યું. ભારતીય ટીમના આ નિર્ણયથી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો આશ્ચર્યચકિત છે. આર અશ્વિને પોતાના યુટ્યુબ લાઈવ પર એમ પણ કહ્યું કે પાંચ સ્પિનરોને યુએઈ લઈ જવો એ એક વિચિત્ર નિર્ણય છે અને યશસ્વીને બહાર રાખવાનો નિર્ણય વધુ આશ્ચર્યજનક છે.