IPL છોડી વિદેશી લીગમાં રમશે રોહિત શર્મા, વિરાટ કોહલી ?
રવિચંદ્રન અશ્ર્વિને બિગ બેશ લીગ સાથે પહેલાં જ ડીલ કરી લીધી છે
ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે ભારતીય ક્રિકેટના દિગ્ગજો રોહિત શર્મા અને વિરાટ કોહલી ને આગામી સમયમાં બિગ બેશ લીગ (BBL) માં લાવવાના સંકેતો આપ્યા છે. જોકે આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાને અલવિદા કહી ચૂક્યા હોવાની સંભાવના છે, પરંતુ ગ્રીનબર્ગનું માનવું છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં આ શક્ય બની શકે છે.
આ દરમિયાન, અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન BBLની આગામી સીઝનમાં સિડની થંડર માટે રમવા માટે તૈયાર છે. અશ્વિન આંતરરાષ્ટ્રીય અને IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ BBLમાં રમતા પ્રથમ કેપ્ડ ભારતીય ક્રિકેટર બનશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતાની બેટિંગનો દમ બતાવ્યો હતો. રોહિતે શાનદાર 121 રન બનાવ્યા અને વિરાટે 74 રન નું યોગદાન આપ્યું, જેનાથી ભારતને ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવવામાં મદદ મળી. મેચ પછી, બંને દિગ્ગજોએ સંકેત આપ્યો હતો કે ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયામાં આ તેમની છેલ્લી મેચ હોઈ શકે છે. જોકે, આ દરમિયાન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે એક આશ્ચર્યજનક નિવેદન આપીને રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને BBLમાં સામેલ કરવાના સંકેતો આપ્યા હતા.
જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ક્યારેય BBLમાં રમી શકશે, ત્યારે તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો. ગ્રીનબર્ગે કહ્યું, ચોક્કસ પરિસ્થિતિઓમાં, તે શક્ય બની શકે છે. આપણે ચર્ચા ચાલુ રાખવાની જરૂૂર છે. ગ્રીનબર્ગે રવિચંદ્રન અશ્વિન ના કરારને એક મોટો પુરાવો ગણાવ્યો કે રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓનો BBLમાં પ્રવેશ હવે અશક્ય નથી. તેમણે BBLને ખાનગી લીગ બનાવવાની વાત પણ કરી, જે હાલમાં ચર્ચા હેઠળ છે.
