વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લેશે, ફેરવિચાર કરવા બીસીસીઆઇની વિનંતી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ રહ્યો છે, તેવા સમાચાર આજે સવારથી ફરતા થયા છે.ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસે પહેલા ટેસ્ટમાંથી નિવૃતિ લેવાની જાણ BCCIને કરી દીધી છે. જેના કારણે તેના ફેન્સ નિરાશ જોવા મળી રહ્યા છે.
અત્યાર સુધીમાં BCCI અથવા વિરાટ કોહલી બંને તરફથી આ વિશે કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈના ટોપ લેવલના અધિકારીએ કિંગ કોહલીને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે, હાલમાં જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી.
વિરાટ કોહલી એ અત્યાર સુધી 123 ટેસ્ટ મેચોમાં કુલ 9230 રન બનાવ્યા છે, જેમાં તેણે 30 સેન્ચુરી અને 51 હાફ સેન્ચુરી ફટકારી છે. વધતી ઉંમરના પગલે કિંગ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પર વિચાર કરી રહ્યો હોવાની ચર્ચા છે, જેથી યુવા ખેલાડીઓને વધુ તકો મળી શકે.
વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં કથળ્યું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પ્રથમ મેચમાં સેન્ચુરી ફટકાર્યા બાદ આગામી તમામ મેચોમાં તેનું બેટ શાંત રહ્યું હતું. તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
આવી સ્થિતિમાં, શક્ય છે કે તેના પ્રદર્શનમાં ઘટાડાને કારણે, તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હોય.
વિરાટ કોહલી હાલમાં 36 વર્ષનો છે. જો તે 2027નો ODI વર્લ્ડ કપ રમવાનું લક્ષ્ય રાખે છે, તો તેને પોતાની ફિટનેસ જાળવવી પડશે.આવું કરવા માટે કોહલી પોતાનો વર્કલોડ ઘટાડવા માંગે છે, જેથી તે 2027 ના વર્લ્ડ કપ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.