ક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ
ક્રિકેટના વ્યાપારીકરણ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા
સુપ્રીમ કોર્ટે ગઇકાલે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતા ની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કોર્ટે રમતગમત સંબંધિત બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે ક્રિકેટ સહિત તમામ રમતો હવે સંપૂર્ણપણે વ્યવસાય બની ગઈ છે, અને તેથી જ આ પ્રકારના કાયદાકીય વિવાદોમાં મોટો દાવ લાગેલો હોય છે.
સોમવારે (6 ઓક્ટોબર, 2025), સુપ્રીમ કોર્ટમાં જબલપુર વિભાગના ક્રિકેટ એસોસિએશનને લગતા એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે રમતોના વધતા વ્યાવસાયીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. જસ્ટિસ વિક્રમ નાથે સીધી ટિપ્પણી કરતા કહ્યું કે, ક્રિકેટમાં હવે કંઈ રમતગમત બાકી નથી. આ એક હકીકત છે. તે બધો વ્યવસાય છે. બેન્ચે વકીલોને પૂછ્યું કે એક જ દિવસે ક્રિકેટ સંબંધિત આટલા બધા કેસ શા માટે આવી રહ્યા છે અને કહ્યું કે, તમે આજે કેટલી ટેસ્ટ મેચ રમશો? અરજદારના વકીલે જવાબમાં કહ્યું કે દેશ ક્રિકેટ પ્રત્યે ઝનૂની છે, તેથી આ મામલાઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે છે.
ન્યાયાધીશ વિક્રમ નાથે ભારપૂર્વક જણાવ્યું કે, મને લાગે છે કે આ કોર્ટ માટે ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ સંબંધિત બાબતોમાં દખલ કરવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે. કોઈપણ રમતનું વ્યાપારીકરણ થઈ ગયું હોય, ત્યારે આવા કેસોના પરિણામમાં મોટા હિતો જોડાયેલા હોય છે, અને તેથી જ આ પ્રકારના કેસ કોર્ટ સુધી પહોંચે છે. અંતે, બેન્ચે અરજી પર આગળ વિચાર કરવાની અનિચ્છા દર્શાવતા, અરજદારના વકીલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપીને કેસનો નિકાલ કર્યો હતો.